Western Times News

Gujarati News

પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાં આતંકી હુમલાઓથી ધણધણી ઉઠ્યાંઃ ૧૧ના મોત

નવી દિલ્હી, પાકિસ્તાનમાં આતંકવાદીઓએ ફરી એકવાર લોહીની હોળી ખેલી છે. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા બે અલગ-અલગ હુમલાઓમાં ૯ સુરક્ષાકર્મીઓ સહિત કુલ ૧૧ લોકોના મોત નીપજ્યા હતા. આ હુમલાઓએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા હતા.પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ભક્કર જિલ્લામાં દજ્જલ ઇન્ટર-સ્ટેટ ચેકપોસ્ટ પર મંગળવારે રાતે એક ભયાનક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.

આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી ‘અંસાર-ઉલ-ઇસ્લામ‘ નામના આતંકી સંગઠને લીધી હતી. હુમલાખોરની ઓળખ અબુ દર્દા તરીકે થઈ છે. ખાસ વાત એ છે કે, અગાઉ બરેલવી ઉગ્રવાદી સંગઠન તરીકે ઓળખાતા અંસાર-ઉલ-ઇસ્લામે પ્રથમ વખત આ પ્રકારના હુમલાની જવાબદારી સ્વીકારી છે.

બીજી ઘટના ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ વિસ્તારમાં બની હતી. અહીં આતંકીઓએ પોલીસ વાહનને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ પુષ્ટિ કરી છે કે આ હુમલામાં એક વરિષ્ઠ અધિકારી સહિત પાંચ પોલીસકર્મીઓ અને બે સામાન્ય નાગરિકોના મોત થયા છે. આમ, એક જ દિવસમાં પાકિસ્તાનના બે અલગ-અલગ પ્રાંતોમાં આતંકીઓએ ૧૧ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.

આ હુમલાઓ બાદ પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સુરક્ષા એજન્સીઓએ પ્રભાવિત વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને નાકાબંધી કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે આ હુમલાઓને પાકિસ્તાનની સ્થિરતા સામે મોટું જોખમ ગણાવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.