દેશભરમાં મિનિમમ ૯૫ આરઓએન ધરાવતા ઈ૨૦ પેટ્રોલનું વેચાણ ફરજિયાત
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આગામી ૧ એપ્રિલ, ૨૦૨૬થી ૨૦ ટકા સુધીના ઈથેનોલ અને ઓછામાં ઓછાં ૯૫ રિસર્ચ ઓક્ટેન નંબર (આરઓએન)વાળા પેટ્રોલનું વેચાણ ફરજિયાત બનાવ્યું છે.
ઓઈલ મંત્રાલય દ્વારા ૧૭મી ફેબ્›આરીએ જારી કરાયેલાં એક પરિપત્ર અનુસાર, કેન્દ્ર સરકારે ઓઈલ કંપનીઓને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડડ્ર્સના માપદંડ મુજબ ઈથેનોલનું ૨૦ ટકા સુધીનું મિશ્રણ ધરાવતાં તથા ઓછામાં ઓછાં ૯૫ આરઓએનવાળા પેટ્રોલનું વેચાણ કરવા નિર્દેશ કર્યાે છે.
જોકે, વિશેષ કિસ્સાઓ કે ચોક્કસ પ્રદેશો માટે સરકાર મર્યાદિત સમય માટે આમાં છૂટછાટ આપી શકે છે. ઇથેનોલનું ઉત્પાદન શેરડી, મકાઈ અથવા અનાજમાંથી કરવામાં આવે છે, જે પુનઃપ્રાપ્ય અને સ્થાનિક સ્તરે ઉત્પાદિત ઈંધણ છે. સરકારના આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ તેલની આયાતમાં કાપ મૂકવાનો તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાનો છે.
આ ઉપરાંત, શેરડી, મકાઈ અને કૃષિ ઉપજોની માગ વધતાં ખેડૂતોને પણ આર્થિક ટેકો મળશે. ઓટો ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં ૨૦૨૩-૨૦૨૫ દરમિયાન ઉત્પાદિત મોટાભાગના વાહનો ઈ૨૦ ઈંધણ પર ચાલે તેવી રીતે જ બનાવવામાં આવ્યા છે, તેથી તેમાં કોઈ મોટી સમસ્યા આવવાની શક્યતા નથી. જોકે, જૂના વાહનોની માઈલેજમાં ૩થી ૭ ટકાનો નજીવો ઘટાડો થવાની તેમજ તેના રબર અને પ્લાસ્ટિકના સ્પેરપાટ્ર્સમાં ઘસારો વધવાની શક્યતા રહે છે.
સરકાર દ્વારા ન્યૂનતમ ૯૫ આરઓએનનો આગ્રહ એન્જિનને થતું નુકસાન અટકાવવા માટે રાખવામાં આવ્યો છે. ઓઈલ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, ૨૦૧૪-૧૫થી અત્યાર સુધીમાં ભારતે પેટ્રોલના વિકલ્પો થકી રૂ. ૧.૪૦ લાખ કરોડની બચત કરી છે.SS1MS
