APMCમાં ગંદકીના ઢગલાથી દુર્ગંધ મારતા આસપાસના લોકો ત્રસ્ત
સાત દિનમાં નિરાકરણ નહીં આવે તો તાળા બંધી કરાશેઃ સલીમ અમદાવાદી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ એપીએમસી માર્કેટમાં કચરાના ઢગલા અને ગટરના પાણી ભરાવાથી ગંદકી ફેલાતા વેપારીઓ સહિત આસપાસની સોસાયટીના લોકો ત્રસ્ત બનતા એપીએમસીના વહીવટકર્તાને ઉગ્ર રજૂઆત કરી યોગ્ય નિરાકરણ નહીં આવે તો તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચના મંહમદપુરા નજીક મોટી એપીએમસી માર્કેટ આવેલ સીજે જેમાં ૪૦૦ થી વધુ વેપારીઓની દુકાનો આવેલી છે.જેથી અહીં રોજ બરોજ આસપાસના તેમજ તાલુકાના લોકો શાકભાજી તેમજ ફ્રૂટની ખરીદી કરવામાં આવતા હોય છે.ત્યારે વેપારીઓ દ્વારા બગડેલા શાકભાજી અને ફળોને એપીએમસી દ્વારા કચરાની ગાડીઓ દ્વારા નિકાલ કરવામાં આવતો હોય છે.પરંતુ એપીએમસીના સંચાલકો એપીએમસીમાં આવેલી ખુલ્લી જગ્યામાં મીની ડમ્પીંગ સાઈટ ઉભી કરી દીધી હોય અને કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
હાલ ચોમાસાની સીઝન હોય વરસાદના કારણે કચરાના ઢગલા અને ગટરના પાણી ભરાવાથી અહીં ગંદકી ફેલાતા દુર્ગંધ મારવા સાથે માખીઓનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.જેના કારણે વેપારીઓ સહિત ગ્રાહકો ત્રસ્ત બન્યા છે.
જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના વિરોધમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ચૂંટાયેલા નગરપાલિકા સદસ્યો અને સ્થાનિક આસપાસની સોસાયટીઓના લોકો દ્વારા એપીએમસી માર્કેટની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરી સંચાલકોને રજુઆત કરવામાં આવી હતી અને કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
ભરૂચ એપીએમસીના વેપારીઓ ભરૂચ પાલિકામાં લાખો રૂપિયા ટેક્ષ ભરે છે તેમ છતાં કોઈ સુવિધા આપવામાં આવતી નથી.હાલમાં ભારે વરસાદના કારણે વેપારીઓનો માલ બગડી ગયો હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. ચેરમેન અને બોર્ડ મેમ્બરો સાથે ચર્ચા કરી તેનું નિરાકરણ વહેલી તકે કરવામાં આવશે તેમ
ભરૂચ એપીએમસીના ઈન્સ્પેકટર રાજેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું
એપીએમસી માર્કેટ ખેડૂતો અને વેપારીઓની રોજીરોટીનું કેન્દ્ર છે.ત્યારે ગંદકીના કારણે માત્ર વેપારને જ નહીં પરંતુ નાગરિકોના આરોગ્યને પણ ગંભીર નુકસાન થાય તેવો ભય જોવા મળી રહ્યો છે.ત્યારે આ બાબતે એપીએમસીના વહીવટીદારોએ કાયમી નિરાકરણ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.તો હાલ ચોમાસાને લઈને આરોગ્ય વિભાગે પણ આ બાબતે સતર્ક થવાની જરૂર છે.
