Western Times News

Gujarati News

એકસાથે 11 દર્દીઓને રજા : ભાવનગરનો કોરોના રિકવરી રેટ 75.67 ટકા

જિલ્લામાં નોંધાયેલા 111 કેસોની સામે હાલ 19 દર્દીઓ સારવાર હેઠળ

ગાંધીનગર,  ભાવનગરમાં નવમી મૅ થી સારવાર હેઠળ રહેલા કોરોનાના 11 દર્દીઓએ એકસાથે આ રોગને મ્હાત આપતા ગઈકાલે આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

ભાવનગરના ૩૫ વર્ષીય ઈરફાનભાઈ કુરેશી, ૧૮ વર્ષીય નુરસદ મકવાણા, ૧૯ વર્ષીય અફઝલ સોલંકી, ૨૦ વર્ષીય સમિર સોલંકી, અરબાઝ સરવૈયા, ૨૪ વર્ષીય રિયાઝ સૈયદ, ૨૧ વર્ષીય શોહેબ મહેતર, બોટાદના ખોજાવાડ ખાતે રહેતા ૨૦ વર્ષીય આદિલ કુરેશી, સિહોરના જાલુનો ચોક ખાતે રહેતા ૪૫ વર્ષીય સહેનાઝબેન દસાડીયા, ૨૦ વર્ષીય મહોમદસફી સૈયદ અને ૨૭ વર્ષીય અબ્દુલરૌફ રાંધનપરાના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવ્યા હતા.

ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ ૧૧ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી.

હોસ્પિટલમાથી રજા મેળવનારા દર્દીઓને છેલ્લા 3 દિવસથી તાવ આવ્યો નથી તેમજ તેઓ એસિમ્ટોમેટીક હતા અને છેલ્લા 10 કરતા વધુ દિવસથી હોસ્પિટલમા દાખલ હતા. સરકાર દ્વારા આ તમામ દર્દીઓને વિનામુલ્યે એક N-95 માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, એક હેન્ડ્ગ્લોવ્ઝ તેમજ એક હેન્ડ સેનિટાઈઝરની બોટલ આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આ સાથેજ ભાવનગર જિલ્લાનો કોરોના પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેટ 76.57 ટકા થવા પામ્યો છે; તે દર્શાવે છે કે તંત્ર તેમજ આરોગ્ય વિભાગની કામગીરી જિલ્લામાં કેટલી અસરકારક રહી છે. ભાવનગર જિલ્લામા નોંધાયેલા 111 કેસ પૈકી હાલ 19 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 84 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ 8 દર્દીઓનુ અવસાન થયેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.