Western Times News

Gujarati News

કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા

પ્રતિમા એ સ્વયં ભગવાન જ છે અને આપણી સેવાને અંગીકાર કરે જ છે,તેવા ભાવ સાથે ભગવાનની પૂજા કરવી જોઈએ. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

તા. ૧૪ મે ને શુક્રવાર અખાત્રીજનાં રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવાનો પ્રારંભ થયો છે. કોરોના વાયરસના કારણે ભગવાનના શણગારનાં દર્શન સ્વામિનારાયણ કુમકુમ મંદિર યુટ્યુબ ચેનલ ઉપર કરાવવામાં આવ્યા હતા.

 

અખાત્રીજથી ચંદનના વાઘા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે તે અંગે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – ના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ ભગવાનના શણગાર તૈયાર કરવામાં ૪ કિલો ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ આ ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ગોટી થી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો – હરિભક્તો તે ચંદનથી કપાળમાં તિલક કરે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ર૩ માં વચનામૃતમાં કહ્યું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. શિયાળો,ઉનાળો અને ચોમાસુ એ ત્રણ ઋતુ અનુસાર ભગવાનને શણગાર સજવા અને થાળ આદિ ધરાવી ભગવાનની પરીચર્યા કરવી. તે પ્રમાણે જ્યારે શિયાળો આવે છે ત્યારે ભગવાને ગરમ વસ્ત્રો ધરાવામાં આવે છે અને હીટર મૂકવામાં આવે છે.

તેવી રીતે જયારે ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવામાં આવે છે. અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે.પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવે છે.

વૈશાખ સુદ ત્રીજ – અખાત્રીજનું મહત્વ વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ જેને અક્ષયતૃતીયા કહેવાય છે. તે અંગે માહિતી આપતા શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,
– વૈશાખ સુદ ત્રીજને અક્ષયતૃતીયા કહેવામાં આવે છે. આ દિવસે અક્ષત્‌ કહેતાં ચોખાથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે.
– આ દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું….
– મહાભારતનું યુદ્ધ આ દિવસે પુર્ણ થયું હતું…
– દ્રાપરયુગનું સમાપન આ દિવસે થયું હતું.
– વૈષ્ણવધર્મમાં વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન આજ દિવસે થાય છે.
– નાથદ્વારામાં શ્રીનાથજી પ્રભુનું સ્વરુપ વલ્લભાચાર્યજીએ ગિરીરાજ પર આજ દિવસે પધરાવ્યું હતું.
– સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવાનો પ્રારંભ કરવામાં આવે છે.
– જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે તેના રથોના નિર્માણનું કાર્ય આ જ દિવસે પ્રારંભ થાય છે.
– આ દિવસ વણજોયા મૂહુર્તનો કહેવાય છે. શુભકાર્યો વગર મૂહુર્તે કરવામાં આવે છે.આ દિવસે વર્ષ દરમ્યાન સૌથી વધુ લગ્નો થાય છે.
– આ દિવસે સોના -ચાંદીની ખરીદી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.