Western Times News

Gujarati News

ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા પર આગામી આદેશ સુધી રોક લગાવી

દહેરાદુન: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને રાજ્ય સરકારે હવે યુ-ટર્ન માર્યો છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરી છે. કહેવાયું છે કે આવું તેમણે ઉત્તરાખંડ હાઈકોર્ટના ઓર્ડરને માનીને કર્યું છે. આ અગાઉ સોમવારે રાજ્ય સરકારે ચારધામ યાત્રા અંગે કોવિડ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. આ સાથે કહ્યું હતું કે એક જુલાઈથી યાત્રા શરૂ થશે. જ્યારે ઉત્તરાખંડ હાઈકોર્ટે આ યાત્રા પર ૭ જુલાઈ સુધી રોક લગાવેલી છે.

ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે જે કોવિડ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી તેમાં કહ્યું હતું કે યાત્રાનો પહેલો તબક્કો એક જુલાઈથી શરૂ થશે. ત્યારબાદ ૧૧ જુલાઈથી યાત્રાનો બીજાે તબક્કો શરૂ થશે. આગળ કહેવાયું કે નેગેટિવ કોરોના રિપોર્ટ પણ જરૂરી રહેશે. રાજ્ય સરકારે મર્યાદિત લોકો સાથે યાત્રાની શરૂઆતની વાત કરી હતી. પરંતુ હવે યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરાઈ છે.

આ અગાઉ સોમવારે ઉત્તરાખંડ હાઈકોર્ટે ચારધામ યાત્રા મામલે સુનાવણી કરી હતી. હકીકતમાં રાજ્ય સરકારે મર્યાદિત લોકો સાથે ચારધામ યાત્રા શરૂ કરવાની વાત કરી હતી. પરંતુ કોર્ટે આ યાત્રા પર ૭ જુલાઈ સુધી રોક લગાવી દીધી. તે દિવસે મામલે સુનાવણી થવાની હતી. હાઈકોર્ટે સરકારને ૭ જુલાઈના રોજ ફરીથી સોગંદનામું રજુ કરવાનું કહ્યું છે. કોર્ટે ચારધામોનું લાઈવ સ્ટ્રિમિંગ પણ કરવાનું કહ્યું હતું. જેથી કરીને શ્રદ્ધાળુઓ ઘરેથી જ તેમના દર્શન કરી શકે.

કોર્ટની સુનાવણી બાદ ઉત્તરાખંડ સરકારના પ્રવક્તા સુબોધ ઉનિયાલે કહ્યું હતું કે તેઓ પહેલા હાઈકોર્ટનો ઓર્ડર વાંચશે અને ત્યારબાદ એવું લાગશે તો સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. ઉત્તરાખંડના ચારેય ધામોના કપાટ ખુલી ચૂક્યા છે. પરંતુ કોરોના સંક્રમણના કારણે શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી આપવામાં આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.