Western Times News

Gujarati News

લાંબા સમય બાદ ગુજરાતભરમાં સર્વત્ર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ

રાજકોટ, ભારે રાહ જાેવડાવ્યાં બાદ રાજ્યભરમાં મેઘરાજાએ મહેર કરી છે. રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોમાં આનંદ ફેલાયો છે.સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં સાવર્ત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં ઉત્સાહ જાેવા મળ્યો છે. ગીર સોમનાથના ગીરગઢડામાં ૨ ઈંચ, સૂત્રાપાડા અને તાલાળામાં ૧.૫ ઈંચ વરસાદ પડ્યો છે. સોમનાથના ગીરગઢડામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વેરાવળ, કોડિનાર અને ઉના તાલુકામાં સારા વરસાદથી પાકને જીવતદાન મળ્યું છે. તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ પડતા ગામમાં નદી વહેતી થઈ છે. છેલ્લાં ત્રણ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. તો ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વેરાવળના ભેટાળી ગામે ખેતરોમાં પાણી ભરાયા છે. વેરાવળના ભેટાળી ગામે વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન થયા હતા. જાે કે, મેઘરાજાએ લાંબા વિરામ બાદ અમી છાંટણા કરતા ખેડૂતો આનંદીત બન્યાં છે. ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન મળશે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી વોકળામાં પાણી આવ્યાં. આંબળાશ ગામે રસ્તા પર નદી વહી. જેપુર ગીર, ધરમપુર ગીર ગામે વોકળામાં પાણીની આવક નોંધાઈ.

ધોધમાર વરસાદ પડતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા.તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી પાકને નવુ જીવતદાન મળ્યું છે. દ્વારકાના કલ્યાણપુર અને આસપાસના તાલુકાઓમાં સાવર્ત્રિક મેઘમહેરથી પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે જૂનાગઢના ભેંસાણમાં ધીમીધારે વરસાદથી ખેડૂતોમાં નવી આશા જાગી છે. ભેસાણ પંથકમાં ધીમીધારે બે ઈંચ વરસાદ પડ્યો છે.

રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટના ગોંડલમાં સૌથી વધુ સવારથી એક ઇંચથી લઇને દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ પડતા મગફળી, કપાસ સહિતના પાકને જીવતદાન મળ્યું છે. જેને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. રાજકોટના વીરપુરમાં ભારે બફારા બાદ વરસાદનું આગમન થયુ છે. વીરપુરમાં સુકાતા પાકને જીવતદાન મળ્યું. તો પોરબંદરના બરડા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ રિ-એન્ટ્રી કરી છે. પોરબંદરના બરડા, બગવદર, અડવાણા, સોઢાના, રોજીવાડા, સીમરમાં સારો વરસાદ આવતા ખેડૂતોના પાકને ફાયદો થયો છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજાે રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ૩૯૯ મી.મી. એટલે કે ૧૬ ઇંચ જેટલો, વાપીમાં ૨૦૦ મી.મી. એટલે કે આઠ ઈંચ, માંગરોળમાં ૧૨૯ મી.મી. એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, આજે તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૬.૦૦ કલાક સુધીમાં વિસાવદર તાલુકામાં ૯૬ મી.મી., વઘઈમાં ૯૦ મી.મી., ડેડિયાપાડામાં ૮૮ મી.મી., ધ્રોલમાં ૮૬ મી.મી., કઠલાલમાં ૮૩ મી.મી., મેંદરડામાં ૮૧ મી.મી., કપરાડામાં ૭૯ મી.મી., વડગામ, નડિયાદમાં ૭૬ મી.મી. અને બગસરામાં ૭૫ મી.મી. મળી કુલ ૧૦ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નાંદોદ ચોર્યાસી, માણસા, માતર, પારડી, ઘોઘા, કેશોદ, ઉમરેઠ, વાંસદા, વંથલી, ગરુડેશ્વર, માંગરોળ, ખેરગામ, બોટાદ, જુનાગઢ શહેર, સાવરકુંડલા, ખેડા મળી કુલ ૧૭ તાલુકાઓમાં બે ઈંચથી વધુ જ્યારે અન્ય ૩૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આજે તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં ૧૪૫ મી.મી. એટલે કે છ ઈંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં ૧૩૨ મી.મી. એટલે કે પાંચ ઈંચથી વધુ જ્યારે માંગરોળ તાલુકામાં ૧૦૦ મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫.૮૫ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૨.૯૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૬.૧૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૨.૪૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૦.૬૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૫.૪૭ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.