Western Times News

Gujarati News

પોરબંદર-સોમનાથ હાઇવે પર કાર પલટી જતાં એક જ પરિવારના ત્રણનાં મોત

સોમનાથ, પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર નરવાઇ માતાજીના મંદિર નજીક આજે શુક્રવારે વહેલી સવારે ગમખ્‍વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મૃત્‍યુ થયાં હતાં, જ્યારે અન્ય બે શખસને ઇજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પાંચ જેટલા યુવાનો ખંભાળિયાના ખજૂરિયા ગામથી માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્‍માતની પ્રાપ્‍ત વિગતો અનુસાર, પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર આજે શુક્રવારે વહેલી સવારે એક કાર ડિવાઇડર સાથે ટકરાતાં ગમખ્‍વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામે રહેતા પાંચ યુવાન માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ સમયે પોરબંદર નજીક નરવાઇ મંદિર અને ચીકાસા વચ્ચેના હાઇવે પર એકાએક કાર પલટી મારી ડિવાઇડર સાથે ટકરાઇ હતી.

આ અકસ્‍માતમાં કિશન ચંદ્રાવાડિયા, મયૂર ચંદ્રાવાડિયા અને ઘેલુભાઇ ચંદ્રાવાડિયા નામના ત્રણ યુવાનનાં ઘટનાસ્થળે જ મૃત્‍યુ નીપજ્યા હતાં, જ્યારે કારમાં સવાર અન્‍ય રાજુભાઇ ચંદ્રાવાડિયા અને વજશીભાઇ નંદાણિયાને ઇજા પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં રાજુ ચંદ્રાવાડિયા નામના યુવાનની સ્થિતિ ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતાં નરવાઇ માતાજી મંદિર નજીકના ધંધાર્થીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તોની મદદ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.