Western Times News

Gujarati News

કોરોના કરતા ટી.બી. વધુ ઘાતક અને ચેપી

કોરોનાનો દર્દી ત્રણ વ્યક્તિને ચેપ લગાવી શકે છે. ટી.બી.નો દર્દી ૧પ વ્યક્તિને ચેપ લગાવે છે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, વિશ્વભરના દેશો છેલ્લા બે વર્ષથી કોરોના સામે ઝઝુમી રહયા છે તેમજ મહાસત્તાઓ પણ કોરોના સામે વામણી સાબિત થઈ છે. ભારતમાં છેલ્લા બે મહીનાથી કોરોના કેસ અને મૃત્યુમાં ઘટાડો થયો છે પરંતુ પ્રજાના મનમાં તેનો ડર હજી સુધી યથાવત્‌ છે.

કોરોના ચેપી રોગ તેમજ ઝડપથી ફેલાતો હોવાથી તેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. પરંતુ કોરોના કરતા પણ વધુ ચેપી અને ઘાતક ટી.બી. (ક્ષય)નો રોગ છે જેની સામે નાગરીકો અને વહીવટીતંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે અમદાવાદ શહેરમાં જ કોરોના કરતા ટી.બી. નો મૃત્યુદર નેકગણો વધારે છે.

એક જમાનામાં ક્ષયરોગ (ટી.બી.)ને મહામારી જ સમજવામાં આવતો હતો તથા ક્ષયરોગના દર્દીને અલગ આઈસોલેટ કરવામાં આવતા હતા પરંતુ યોગ્ય સારવાર મળવાની શરૂઆત થયા બાદ નાગરીકોના મનમાંથી ટી.બી.નો ભય ઓછો થયો છે.

પરંતુ વાસ્તવિકતા એ છે કે ટી.બી.નો રોગ કોરોના કરતા પણ વધુ જીવલેણ છે, અમદાવાદ શહેરમાં ર૦ર૦ના વર્ષમાં ટી.બી.નો મૃત્યુદર ૬.૩પ ટકા તથા ર૦ર૧માં પ.૭૧ ટકા રહયો હતો જેની સામે ર૦ર૦માં કોરોનાનો મૃત્યુદર ૪.૦૮ ટકા અને ર૦ર૧માં માત્ર ૦.૬ર ટકા રહયો હતો. જયારે ર૦રરમાં માર્ચ સુધી કોરોના મૃત્યુદર ૦.૧૪ ટકા છે જેની સામે છેલ્લા સાત વર્ષમાં ટી.બી.નો સૌથી ઓછો મૃત્યુદર ર૦૧પમાં પ.૬૬ ટકા રહયો હતો.

શહેરમાં ર૦૧પ થી ર૦૧૯ના સમયગાળા દરમ્યાન ટી.બી.ના પપ૬૪૮ કેસ નોધાયા હતા જે પૈકી ૩૩પ૮ દર્દીના મૃત્યુ થયા હતા જેનો મૃત્યુદર ૬.૦૩ ટકા થાય છે.

કોરોનાના દર્દી ત્રણથી ચાર વ્યક્તિને ચેપ લગાવી શકે છે જેની સામે ટી.બી.નો દર્દી ૧પ વ્યક્તિને ચેપ લગાવી શકે છે તેમ છતાં વાર્ષિક રૂા.નવ હજાર કરોડનું બજેટ કદ ધરાવતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટી.બી.ના દર્દીની સારવાર માટે કોઈ જ રકમ ફાળવવામાં આવતી નથી તેમજ શહેરની એકમાત્ર ક્ષય રોગ હોસ્પિટલને પણ તોડી પાડવામાં આવી છે. હાલ ટી.બી.ના દર્દીને કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત વિનામુલ્યે સારવાર, દુધ અને પૌષ્ટિક આહાર માટે સહાય આપવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકાથી ટી.બી.ના કેસ વધી રહયા છે જેના માટે ધુમ્રપાન, આલ્કોહોલનું વધારે પડતુ સેવન, અપૌષ્ટિક આહાર અને દુષિત હવા-પાણી મુખ્ય જવાબદાર પરિબળ છે.

ચોંકાવનારી બાબત એ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક દાયકા અગાઉ એચ-૧ એન-૧ વાયરસને પણ વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી જેના કેસની સંખ્યા ટી.બી. કરતા અનેકગણી ઓછી છે. ર૦૧૭ના વર્ષમાં સ્વાઈન ફલુના ર૬૪૭ કેસ અને ૧પ૦ મૃત્યુ, ર૦૧૮મા ૭૭૭ કેસ અને ર૯ મરણ તેમજ ર૦૧૯માં ૧૩૩૭ કેસ અને ર૮ મૃત્યુ થયા હતા આમ કોરોના અને સ્વાઈનફલુ કરતા પણ ટી.બી. નો રોગ વધુ ઘાતક છે તે પુરવાર થઈ રહયુ છે.

તેમ છતાં તંત્ર સજાગ નથી શહેરના જે વિસ્તારોમાં શ્રમજીવી વસાહતોની સંખ્યા વધારે છે તે વિસ્તારોમાંથી ટી.બી.ના રોગ મોટાપાયે કન્ફર્મ થઈ રહયા છે તેથી આ વિસ્તારો તરફ ધ્યાન આપવાની જરૂર છે.

કેન્દ્ર સરકારની યોજનાના અમલ માટે મનપા દ્વારા નોડલ ઓફીસર તરીકે ડો. તેજલ શાહની નિમણુંક કરવામાં આવી છે તેમના જણાવ્યા મુજબ ટી.બી.ના બે પ્રકાર છે જેમાં એમડીઆર (ડ્રગ- રેસીસટન્ટ ટીબી) વધુ ઘાતક છે. એમડીઆર ટી.બી.ના દર વરસે ૬૦૦ કેસ કન્ફર્મ થાય છે જે પૈકી ૪૦ ટકા દર્દીના મૃત્યુ થાય છે. ટી.બી.ના દર્દીનો મૃત્યુદર ઘટાડવા માટે બેડાક્યુલીન નામની મોઘી દવા આપવામાં આવે છે સાથે સાથે પૌષ્ટિક આહાર માટે દર્દીના બેંક ખાતામાં દર મહીને રૂા.પ૦૦ જમા કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.