Western Times News

Gujarati News

તા.૨૫ મી ઓકટોબરે નર્મદા જિલ્લામાં સ્થળ ઉપર ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

રાજપીપલા: નર્મદા જિલ્લાના પ્રજાજનોની પોલીસને લગતી ફરીયાદોના નિવારણ માટેનો કાર્યક્રમ આગામી તા. ૨૫ મી ઓકટોબર, ૨૦૧૯ ના રોજ સવારે ૧૧=૦૦ કલાકે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાશે. પોતાની વ્યક્તિગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ આવતો ન હોય તેવી ફરિયાદો તા.૧૯/૧૦/૨૦૧૯ સુધીમાં નિયત નમુનામાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા-રાજપીપળાને અરજી કરવાની રહેશે. અરજીમાં નામ, પુરૂ સરનામુ અને ટેલીફોન, મોબાઇલ નંબર લખવાનો રહેશે.

પોલીસ ખાતાને લગતા પ્રશ્નોની અરજદારે જે કંઇ રજુઆત કરી હોય અને કોઇ પ્રત્યુતર ન મળ્યો હોય તો તેની રજુઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. એક અરજીમાં એક જ પ્રશ્નની રજુઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે.

અરજી ઉપર “પોલીસને લગતા જીલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” એમ સ્પષ્ટ રીતે લખવાનુ રહેશે. તા.૧૯/૧૦/૨૦૧૯ રોજ સવારે ૧૧=૦૦ કલાકે જેમણે જવાબો રજુ કરવાના છે, તેવા પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓને તથા અરજદારોને પોતાના પ્રશ્નોના આધાર પુરાવા સહિત નર્મદા જિલ્લા પાલીસ અધિક્ષકશ્રીની કચેરી, રાજપીપલા ખાતે હાજર રહેવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.