Western Times News

Gujarati News

અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક વસાહતમાં વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત થયું

અંકલેશ્વર :નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક વસાહતોના જળ પ્રદુષણને નાથવા અંદાજે રૂા. ૬૫ કરોડના ખર્ચે MSME એકમો માટે ૧૦ એમ.એલ.ડીના કોમન એફલુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પર્યાવરણ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, સહકાર રાજય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, જીઆઇડીસીના અધ્યક્ષશ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ MSME ઉધોગો માટે એકચેન્જ કન્વેયન્સ પાઇપલાઇન, વેસ્ટ એકચેન્જ સેન્ટરનું પણ ખાતમુહુર્ત  કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રૂા.૧.૨૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલ સીનીયર સીટીઝન એકટીવીટી સેન્ટરનું “સુષ્મા શાંતિ” સીનીયર સીટીઝન એકટીવીટી સેન્ટર નામકરણ કર્યું હતું. આ સેન્ટરમાં જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે મે. સજજન ઇન્ડીયા લી. ધ્વારા રૂા. ૫૧ લાખનો માતબર આર્થિક સહયોગ સાંપડયો છે.

 અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગામી એક વર્ષમાં આ પ્રોજેકટ કાર્યાન્વિત થતાં ઔદ્યોગિક મુડી રોકાણ વધવા સાથે  રોજગારીની વિપુલ તકો સર્જાશે.   નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે રાજયમાં MSME ક્ષેત્રે મહત્તમ રોકાણો આવે તે માટે રાજય સરકારે નવીન પ્રોત્સાહક પગલાં લીધાં છે. દેશના નાણાંમંત્રીશ્રીએ નવીન રોકાણ માટે કોર્પોરેટ ટેક્ષ ૩૧ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરી ઔદ્યોગિક રોકાણ ક્ષેત્રે નવીન તકો ઉભી કરી છે જેને પરિણામે રાજયમાં મોટા પાયે ઔદ્યોગિક ક્ષેત્રે રોકાણો થવાના છે જેનો લાભ અંકલેશ્વર વિસ્તારને પણ મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સંકલ્પના મુજબ દેશની ઇકોનોમીને પાંચ ટ્રીલીયન સુધી લઇ જવા પર્યાવરણ, આરોગ્યના જતન સંવર્ધન સાથે રાજયમાં ધોલેરા- દહેજ – હજીરા – અંકલેશ્વર – વાપી ઔદ્યોગિક વસાહતોમાં ગ્રીન ટ્રીબ્યુનલની ગાઇડ લાઇન મુજબ નવા ઔદ્યોગિક એકમો આવી રહયા છે.

શ્રી પટેલે ઉમેર્યું કે અંકલેશ્વર એ કેમીકલ અને સંલગ્ન ઉધોગોનું હબ બન્યું છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના સમુચિત વિકાસ માટે રાજય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે.

શ્રી પટેલે જણાવ્યું કે અમદાવાદ – વડોદરા અને જેતપુરના સાડી ઉધોગના ગંદા પાણીના શુધ્ધિકરણ માટે રાજય સરકારે રૂા. ૨૩૦૦ કરોડની યોજનાને મંજૂરી આપી છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં રૂા. ૪૪૦૦ કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજના સાકાર થશે જે અંગેના ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા છે. ભાડભૂત યોજના આગામી સમયમાં સાકાર થતાં ઉધોગોને જરૂરી પાણી મળી રહેશે એટલું જ નહિ દરિયાની ખારાશ અટકશે અને જમીન ફળદ્રુપ થશે જેને પરિણામે ભરૂચ જિલ્લો વધુ હરિયાળો બનશે.

શ્રી પટેલે ઉમેર્યું કે ભરૂચમાં આગામી વર્ષથી પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલથી નવીન મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.