Western Times News

Gujarati News

ભારતની સૌથી ઉંચી અવકાશ વેધશાળા 1041 કરોડના ખર્ચે ગુજરાતમાં બનશે

File

અહીં ટેલિસ્કોપ ગેલેરી, વ્યૂઈંગ પોઈન્ટ અને ખગોળશાસ્ત્રીય વેધશાળા હશે. ૧૦૪૧ કરોડના ખર્ચે અવકાશ વેધશાળા ધરોઈ ડેમ પાસે બનશે

ગાંધીનગર, નર્મદા ડેમ નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ આધુનિક દુનિયાની વધુ એક વર્લ્‌ડક્લાસ અજાયબી ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ પાસે આકાર લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન બાદ ગુજરાત સરકારે ધરોઈ ખાતે અવકાશ વેધશાળા (ગ્રહનક્ષત્રો તથા હવામાનમાં પરિવર્તનોનું નિરીક્ષણ કરવા માટેની ઇમારત) કમ મનોરંજન માટેની ઈમારત ઊભી કરવાનો વિસ્તૃત પ્લાન તૈયાર કર્યો છે. ધરોઈ પીએમ મોદીના વતન વડનગરથી થોડા કિલોમીટર દૂર આવેલું છે.

આ પ્રોજેક્ટના પ્રસ્તાવને મંજૂરી માટે વડાપ્રધાન કાર્યાલયમાં મોકલવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત ૧,૦૪૧ કરોડ રૂપિયા ખર્ચાશે અને ત્રણ વર્ષમાં નિર્માણ કાર્ય પૂરું થશે.

ગુજરાત સરકારે ધરોઈ ડેમ અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે ‘વર્લ્‌ડક્લાસ સસ્ટેઈનેબલ ટૂરિઝમ/પિલગ્રીમેજ’ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ધરોઈ ડેમ પ્રોજેક્ટની સાથે વડનગર હેરિટેજ અને કલ્ચરલ ટુરિઝમ, અંબાજી યાત્રાધામના પ્રવાસનને વેગ મળે તે માટે ટુરિઝમ સર્કીટ તૈયાર કરાશે. જેનો લાભ રાજ્ય ઉપરાંત દેશ અને વિદેશના પ્રવાસીઓ લઈ શકશે.

ધરોઈમાં બનનારું ૧૪૦ મીટર ઊંચાઈનું ટાવર ભારતની સૌથી ઊંચી અવકાશ વેધશાળા હશે. અહીં ટેલિસ્કોપ ગેલેરી, વ્યૂઈંગ પોઈન્ટ અને ખગોળશાસ્ત્રીય વેધશાળા હશે. ઉપરાંત ટાવરમાં ઓપન ડેક હશે જ્યાંથી નરી આંખે આકાશને નિહાળી શકાશે. સાથે જ ટાવરના ટોપ એન્ડમાં અડધો ઢાંકેલી બેઠક વ્યવસ્થા હશે અને આ જ પ્રકારનો અર્થઘટન ઝોન તૈયાર કરાશે.

આ પ્રોજેક્ટમાં વિઝિટર સેન્ટર, ઍમ્ફિથિએટર, લેસર શો, વોટર સ્પોર્ટ્‌સ ઝોન, આઈલેન્ડ એડવેન્ચર ઝોન સહિતની એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઐતિહાસિક ધરોઈ ડેમ પ્રોજેક્ટમાં અવકાશ વેધશાળા ઉપરાંત લેસર શો સાથેનું ઍમ્ફિથિએટર, વોટર સ્પોર્ટ્‌સ ઝોન, આઈલેન્ડ એડવેન્ચર ઝોન, વેલનેસ અને નેચરોપથી સેન્ટર, પોલો ક્લબ, રિસોર્ટ અને ઈવેન્ટ ગ્રાઉન્ડ સાથેનું કન્વેન્શન સેન્ટર પણ હશે.

ઉચ્ચ સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ‘મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મંજૂરી મળ્યા બાદ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનને અપ્રુવલ માટે વડાપ્રધાન કાર્યાલયમાં મોકલવામાં આવ્યો છે. પીએમ મોદીએ આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી છે ત્યારે રાજ્ય સરકાર તેને કાગળ પરથી હકીકતમાં ઉતારવાની પ્રક્રિયા મંજૂરી બાદ શરૂ કરશે.’

સૂત્રોના કહેવા અનુસાર, રાજ્ય સરકાર વડનગરને હેરિટેજ સિટી તરીકે વિકસાવી રહી છે. અહીં મ્યૂઝિમ સહિતના આકર્ષણો હશે. ઉપરાંત વિશ્વમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની આસપાસના વિસ્તારમાં પણ વિકાસ કરવાની કવાયત હાથ ધરાઈ છે. આ પ્રદેશમાં આવેલા બધા જ આકર્ષણો માટે ધરોઈ ડેમ સૌને જાેડનારી ટુરિઝમ સાઈટ બનશે, તેમ સૂત્રોએ ઉમેર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.