Western Times News

Gujarati News

સિવિલના તબીબોની ૨૦૦૦થી વધુ કલાકોની મહેનતનું પરિણામ: અંગદાનમાં મળ્યા 200થી વધુ અંગો

૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી મળેલા ૨૧૦ અંગોને ૧૮૭ જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા

સરકાર અને સમાજના સહિયારા પ્રયાસોથી અંગદાન વેગવંતુ બન્યુ :-સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબોએ આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના ૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં મળેલા ૨૧૦ અંગોથી ૧૮૭ પીડિત જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમના ૧૦ સભ્યોની દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક મહેનત અને અથાગ પરિશ્રમના પરિણામે ૨૧૦ અંગોના રીટ્રાઇવલમાં અંદાજીત ૨૦૦૦ થી વધુ કલાકોની મહેનતનું આ પરિણામ છે કે આજે ૧૮૭ વ્યક્તિઓનું જીવન પીડામુક્ત કરવામાં સફળતા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર્દીને જ્યારે બ્રેઇનડેડ જાહેર કરવામાં આવે છે ત્યારે દર્દીને આઇ.સી.યુ. થી રીટ્રાઇવલ સેન્ટર સુધી લઇ જઇ અંગોને રીટ્રાઇવલ કરવાની સમગ્ર પ્રક્રિયામાં ૮ થી ૧૦ કલાક જેટલો સમય લાગતો હોય છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની શરૂઆત થઇ ત્યારે લગીરેય વિચાર્યું ન હતું કે અંગદાનનો સેવાયજ્ઞ આટલી ઝડપે વેગવંગો બનશે. આજે સરકાર અને સમાજના સહિયારા પ્રયાસોના પરિણામે જ આ સફળતા મળી છે. આગામી સમયમાં આ સિધ્ધિને વધુ જવલંત બનાવીને વધુમાં વધુ લોકોને નવજીવન આપવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર કટિબધ્ધ છે.

અંગદાતાઓ દ્વારા અંગદાનમાં મળેલા અંગોની વિગત જોઇએ તો અત્યાર સુધીમાં ૧૦૮ કિડની, ૫૭ લીવર, ૭ સ્વાદુપિંડ, ૧૪ હ્યદય, ૬ હાથ અને ૯ ફેફસાનું દાન મળ્યું છે. જેને વર્ષોથી અંગોની ખોડખાંપણ થી પીડિત દર્દીઓનું જીવન બદલ્યું છે.

૬૭માં અંગદાનની વિગત જોઇએ તો મહેસાણા જીલ્લાના ૩૩ વર્ષીય મુકેશભાઇ પરમારને હેમ્રરેજ થતા તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવતા બે કિડનીનું દાન મળ્યું છે.

૬૬માં અંગદાનમાં અમદાવાદના ખેંગારસિંહ રાઠોડને માર્ગઅકસ્માત થતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી પરંતુ જ્યારે તેમને રીટ્રાઇવલ માટે સેન્ટરમાં લઇ જવામાં આવ્યા તે સમયે સર્જીકલ કારણોસર અંગોનું રીટ્રાઇવલ થઇ શક્યું નહીં.

૬૫માં અંગદાનની વિગતમાં ૨૬ વર્ષના મેધાબેનને પણ બ્રેઇનહેમરેજ થતા પરિવારજનોની અંગદાન માટેની સંમતિ બાદ હ્યદય, બંને કિડની, લીવર, અને બંને હાથનું દાન મળ્યું. જેમાં હાથને ચેન્નાઇની હોસ્પિટલ અને હ્યદયને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું.

જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની આઇ.કે.ડી.આર.સી. હોસ્પિટલમાં દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.  -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.