મોરબી પુલ દૂર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ
નવીદિલ્હી, મોરબીમાં ઝુલતા પુલની દૂર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરીને એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે. વિશાલ તિવારી નામના વકીલે આ જનહિત અરજી દાખલ કરી છે. જેમાં આવી ઘટના ફરીથી ના બને તે માટે દેશભરમાં જેટલા પણ જૂના પુલ કે સ્મારક છે, ત્યાં થતી ભીડને મેનેજ કરવા માટે નિયમ બનાવવાની માંગ કરવામાં આવી છે.
આ અરજીમાં રાજ્યોમાં સ્થાયી ડિઝાસ્ટર તપાસ સમિતિને આવી આફતોમાં તરત સામેલ થવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે.
મોરબીમાં પુલ તૂટી પડ્યાના એક દિવસ બાદ પુલ રિપેર કરનાર કંપની ઓરેવાના બે અધિકારીઓ સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડની પુષ્ટિ રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવે કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તે ઓરેવાના મધ્યમ કક્ષાના કર્મચારી છે. પુલની દુર્ઘટના બાદ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ ગાયબ હોવાની માહિતી પણ મળી રહી છે.
બચાવ અને રાહત કાર્યમાં અત્યાર સુધી ૧૭૦ લોકોને બચાવવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલા ઘણા લોકોએ સમજદારી દાખવી અને ઘણા લોકોના જીવ બચાવી લીધા. અચાનક પુલ તૂટી ગયો અને ઓછામાં ઓછા ૧૩૦થી વધુ લોકોના મોત થયા. ૧૭ રૂપિયાની ટિકિટ પર ૧૨૫ની ક્ષમતાવાળા પુલ પર અકસ્માતના દિવસે ૫૦૦ વ્યક્તિને જવા દેવામાં આવ્યા હતા.સરકારે રાહતની જાહેરાત કરી છે.HS1MS