Western Times News

Gujarati News

વેરાવળ અને જાફરાબાદ બંદર નજીક માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

વેરાવળ-જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો હળવો વરસાદ થયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં પાક બગડી જવાની ભિતી સેવાઈ રહી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૧૭ ડિસેમ્બર સુધી વાતાવરણ વાદળછાયુ રહેશે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવનાઓ છે. હાલમાં રાજ્યમાં વાદળછાયા વાતાવરણને લીધે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં તલાલા અને ગીર વિસ્તારમાં ગઈકાલે વાતાવરણ પલટાયું હતું અને હળવો વરસાદ થયો હતો. આ વરસાદને કારણે શિયાળુ પાક અને ખાસ કરીને ગીરની કેસર કેરીના પાકને નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. ખેડૂતોમાં માવઠાને લઈને ચિંતા પ્રસરી ગઈ છે. બીજી તરફ અરબી સમદ્રમાં ડિપ્રેશનને કારણે વેરાવળ અને જાફરાબાદ બંદર પર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી મહિસાગર, અરવલ્લી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ અને દમણમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં વાતાવરણ સુકુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જાેવા મળશે. જ્યારે ૧૬મી ડિસેમ્બરે વાતાવરણમાં સમગ્ર ગુજરાતમાં પલટો જાેવા મળી શકે છે.આજે અમદાવાદના પાલડી, વાસણા, સેટેલાઈટ વિસ્તારમાં માવઠાની અસર જાેવા મળી છે.

હાલમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાતા વાતાવરણ પર અસર થઈ રહી છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ જાેવા મળી રહ્યો છે. ૧૭મી ડિસેમ્બર પછી વાતાવરણમાં ફેરફાર થતાં જ ઠંડીમાં વધારો જાેવા મળશે.

હવામાન વિભાગ પ્રમાણે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ જશે. વાદળછાયા વાતાવરણ અને માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. માવઠું થાય તો ઘઉં, ચણા સહિતના પાકોને ભારે નુકસાન પહોંચે એવી સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.