Western Times News

Gujarati News

સર્વાઇકલ કેન્સર સમયસર તપાસ અને ઉચિત સારવારથી અટકાવી શકાય છે

દુનિયાભરમાં મહિલાઓ માટે સર્વાઇકલ (ગરદન)નું કેન્સર ગંભીર ચિંતાજનક મુદ્દો છે, પણ વહેલાસર નિદાન સાથે રોગની જૈવિક વર્તણૂંક સારવારની વિવિધ પદ્ધતિઓ દ્વારા બદલી શકાશે.

સર્વાઇકલ કેન્સર હ્યુમન પેપિલ્લોમાવાયરસ (એચપીવી)થી થાય છે. આ વાયરસ જાતિય સંપર્ક દ્વારા મુખ્યત્વે સંક્રમિત થાય છે. દુનિયાભરમાં મહિલાઓ વચ્ચે આ ત્રીજું સૌથી વધુ જોવા મળતું કેન્સર છે અને 15 વર્ષ અને વધારે વયની આશરે 453 મિલિયન ભારતીય મહિલાઓને સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ છે.

ન્યૂબર્ગ સેન્ટર ફોર જીનોમિક મેડિસિન ખાતે મોલીક્યુલર ઓન્કોપેથોલોજિસ્ટ ડૉ. કુંજલ પટેલે જણાવે છે કે સર્વાઇકલ કેન્સર નિવારણની મુખ્ય ચાવી છે – વહેલાસર નિદાન. સર્વાઇકલ કેન્સર માટે નિયમિતપણે ચકાસણી, જેમ કે પેપ સ્મીઅર્સ, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન વિથ એસેટિક એસિડ (વીઆઇએ), એચપીવી ટેસ્ટિંગ વગેરે દ્વારા અસાધારણ કોષો કેન્સરના કોષો બની જાય અગાઉ એનું નિદાન થઈ શકે છે.

આ પ્રકારના પરીક્ષણો એચપીવી વાયરસની હાજરીનું નિદાન પણ કરી શકે છે, જે સર્વાઇકલ કેન્સર થવા માટે આવશ્યક છે. જો અસાધારણ કોષોનું નિદાન થાય, તો તેઓ કેન્સરના કોષો બને એ અગાઉ તેને દૂર કરી શકાશે. આ કારણે સર્વાઇકલ કેન્સરની નિયમિતપણે ચકાસણી મહત્વપૂર્ણ છે, જેની ભલામણ હેલ્થકેર વ્યવસાયિકો કરે છે.

સર્વાઇકલ કેન્સરની નિયમિત ચકાસણી તથા યોનિમાર્ગમાં રક્તસ્ત્રાવ, માસિક ધર્મમાં રક્તસ્ત્રાવ સામાન્ય કરતાં વધારે લાંબો સમય ચાલે અને ભારે રક્તસ્ત્રાવ થાય, અકળ, સતત પેડુ અને/અથવા પીઠનો દુઃખાવો અથવા સંભોગ દરમિયાન દુઃખાવો જેવા તેના કોઈ પણ ચિહ્નોથી વાકેફ હોવું મહત્વપૂર્ણ છે.

જીનોમિક્સમાં તાજેતરમાં થયેલા વિકાસે સર્વાઇકલ કેન્સરની વહેલાસર ઓળખ અને નિદાનને સુધારવા માટે નવા માધ્યમો પૂરાં પાડ્યાં છે. ઉદાહરણ તરીકે, નેક્સ્ટ-જનરેશન સીક્વન્સિંગ (એનજીએસ)એ આનુવંશિક સ્તરે એચપીવીના નિદાનની સુવિધા આપી છે, જે એચપીવી ઇન્ફેક્શનના ઊંચા જોખમને ઓળખવાની વધારે સચોટ રીત પ્રદાન કરે છે. અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીએ ભલામણ કરી છે કે, તમામ મહિલાઓને જીવનમાં સર્વાઇકલ કેન્સર માટે પરીક્ષણ કરાવવા ઓછામાં ઓછો 1 એચપીવી ટેસ્ટ કરાવવો જોઈએ.

ઉપરાંત લિક્વિડ બાયોપ્સીસ સર્વાઇકલ કેન્સરનું વહેલાસર નિદાન કરે છે, જે ફરતા ડીએનએનું વિશ્લેષણ કરીને ચકાસણી કરે છે. વહેલાસર ઓળખ ઉપરાંત ઉચિત સારવાર સર્વાઇકલ કેન્સર માટે આવશ્યક છે. જો સર્વાઇકલ કેન્સરનું વહેલાસર નિદાન થાય, તો સારવારના વિકલ્પોમાં હીસ્ટેરેક્ટોમી કે કોન બાયોપ્સી, રેડિયેશન થેરપી અને કીમોથેરપી જેવી સર્જિકલ પ્રક્રિયાઓ સામેલ છે.

સર્વાઇકલ કેન્સરની સારવારમાં સૌથી વધુ મહત્વપૂર્ણ વિકાસમાં એક છે – રસીઓનો વિકાસ, જે એચપીવી વાયરસ સામે રક્ષણ આપે છે. આ રસીઓ એચપીવી ઇન્ફેક્શન્સ નિવારણમાં અતિ અસરકારક છે, જેનો અર્થ એ છે કે, તેઓ પ્રથમ તબક્કામાં સર્વાઇકલ કેન્સરનો વિકાસ અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે.

એચપીવી રસી ગાર્ડસિલ 9 વર્ષથી 45 વર્ષની વયજૂથના લોકો માટે એચપીવી દ્વારા થતા સર્વાઇકલ કેન્સરના નિવારણ માટે એફડીએની માન્યતા ધરાવે છે. સર્વાઇકલ કેન્સરનું નિવારણ કરવા એચપીવી રસીની ભલામણ તમામ કિશોરો માટે તેમની નિયમિત રસીના ભાગરૂપે કરવામાં આવી છે.

અન્ય એક મહત્વપૂર્ણ વિકાસ છે –સર્વાઇકલ કેન્સરની સારવારમાં વ્યક્તિગત દવાઓની વધતી ઉપલબ્ધતા, જે માટે જીનોમિક્સઅનેપ્રોટીઓમિક્સની જાણકારી જવાબદાર છે. ટ્યુમર જિનોમ અને ટ્રાન્સ્ક્રિપ્ટોમ સીક્વન્સિંગ પર અભ્યાસોથી આનુવંશિક અને મોલીક્યુલર માર્કર્સની ઓળખ કરવામાં મદદ મળી છે, જે વ્યક્તિગત સારવારના વિકલ્પોની જાણકારી આપી શકે છે અને ઇમ્મ્યુનોથેરેપીઓ કે લક્ષિત સારવારો જેવી વિવિધ સારવારોમાં દર્દીની અસરકારકતાનો તાગ આપે છે.

સંદર્ભ- 1) સિંગ, એમ., ઝા, આર પી., શ્રી, એન વગેરે સેક્યુલર ટ્રેન્ડ્સ ઇન ઇન્સિડન્સ એન્ડ મોર્ટાલિટી ઓફ સર્વાઇકલ કેન્સર ઇન ઇન્ડિયા એન્ડ ઇટ્સ સ્ટેટ્સ, 1990-2019: ડેટા ફ્રોમ ધ ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ 2019 સ્ટડી. બીએમસી કેન્સર 22, 149 (2022). https://doi.org/10.1186/s12885-022-09232-w

  • ડૉ. કુંજલ પટેલ, મોલીક્યુલર ઓન્કોપેથોલોજિસ્ટ, ન્યૂબર્ગ સેન્ટર ફોર જીનોમિક મેડિસિન

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.