Western Times News

Gujarati News

દરિયાઈ પવનોને આગળ વધતા અને કાંઠાનું ધોવાણ અટકાવવામાં મેન્ગ્રુવ(ચેર)ની અગત્યની ભૂમિકા

પ્રતિકાત્મક

રાજ્યના ૧૧ જિલ્લાઓમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત  અન્ય મહાનુભાવોના હસ્તે મેન્ગ્રુવના રોપાનું વાવેતર કરાશે

સમગ્ર વિશ્વમાં તા.૫મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે.

સમયની સાથે વધતાં જતાં પ્રદૂષણથી ઉભી થતી આડઅસરો તથા સમસ્યાઓને નાથવાનો એકમાત્ર ઉપાય છે પર્યાવરણનું સંરક્ષણ. જે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર્યાવરણ જાગરૂકતા અને વનસ્પતિ તથા વન્યજીવના સંરક્ષણ પર સતત કાર્ય કરી રહી છે.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્મ્સ (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes – MISHTI) કાર્યક્રમનો દેશવ્યાપી શુભારંભ કરાવશે. જે અંતર્ગત ગુજરાતના ૧૧ જિલ્લાઓની અંદાજિત ૨૫ સાઇટ્સ પરથી પણ શુભારંભ કરવામાં આવશે. આ ૧૧ જિલ્લાઓમાં અમદાવાદ,આણંદ,કચ્છ,જામનગર, દેવભૂમિ દ્વારકા,નવસારી,ભરૂચ, ભાવનગર,મોરબી,વલસાડ અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે કે જ્યાં MISHTI કાર્યક્રમ હેઠળ મંત્રીમંડળના સભ્યો સહિત અન્ય મહાનુભાવોના હસ્તે મેન્ગ્રુવ (ચેર)નું વાવેતર કરવામાં આવશે.

આગામી તા. ૫મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પણ વિવિધ સ્થળોએ અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાનાર છે. જેનો હેતું રાજ્યના સમસ્ત નાગરિકોને પર્યાવરણના મહત્વથી અવગત કરાવીને પર્યાવરણના સંવર્ધનમાં વધારો કરવાનો છે. જેના માટે સરકાર કટિબદ્ધ છે.

મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્મ્સ (MISHTI) કાર્યક્રમમાં જૈવવિવિધતા, કાર્બન સ્ટોક,પર્યાવરણીય પર્યટનની તકો અને સ્થાનિક સમુદાયો માટે આવક પેદા કરવા તથા મેન્ગ્રુવના શ્રેષ્ઠ ઉપયોગ સહિત વેટલેન્ડ્સના અનન્ય સંરક્ષણ મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

MISHTI ના અન્ય ઉદ્દેશ્યોમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા વૃક્ષારોપણની તકનીકો,સંરક્ષણ પગલાં, વ્યવસ્થાપન પ્રણાલીઓ અને સંસાધનોનું એકત્રીકરણ અંગેની શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણીનો પણ સમાવેશ થાય છે.

પર્યાવરણના જતનમાં મેન્ગ્રુવ (ચેર) કેટલી અગત્યતની ભૂમિકા ભજવી શકે છે તેને ધ્યાને લઇને જ સરકારે મેન્ગ્રુવના વાવેતર માટેના કાર્યક્રમ MISHTI ની શરુઆત કરી છે. દરિયાઈ વિસ્તારમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવતું મેન્ગ્રુવ(ચેર) દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે.

મેન્ગ્રુવના મૂળ જમીનના ધોવાણથી આવેલ કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે.ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રુવ આગળ વધતા અટકાવે છે.મેન્ગ્રુવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે જેમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રિય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેન્ગ્રુવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન અને આશ્રયસ્થાન પુરૂં પાડે છે.

મેન્ગ્રુવ સ્થાનિક હવામાન સુધારે છે.સ્થાનિક લોકોને બળતણ,ચરિયાણ તેમજ લાકડા મેળવવાનો મેન્ગ્રુવ અગત્યનો સ્ત્રોત છે. ફીશીંગ નેટના ટ્રેનિંગ માટે માછીમારો રાઈઝફોરા અને સીરીઓપ્સના મેન્ગ્રુવ વૃક્ષોની છાલનો ઉપયોગ કરે છે.

આ કાર્યક્રમમાં “મિશનલાઇફ” નો સંદેશ આપી તે અંગેની પ્રતિજ્ઞા પણ મહા નુભાવોના હસ્તે લેવડાવવામાં આવશે.   -દિલીપ ગજ્જર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.