Western Times News

Gujarati News

ચરિત્ર પર શંકા રાખી પતિએ પત્નીને પતાવી દીધી

બરેલી, પત્નીનું કોઈ અન્યની સાથે અફેર ચાલી રહ્યું હોવાની શંકા રાખી ૧૫ દિવસ પહેલા જ જામીન પર બહાર આવેલા ૪૦ વર્ષના શખ્સે તેની હત્યા કરી નાખી હતી. આ ઘટના શનિવારે સાંજે બરેલીના ફતેહગંજના પશ્ચિમ વિસ્તારમાં ભરચક બજારમાં બની હતી. સૌથી નવાઈની વાત તો એ હતી કે, પત્નીએ જ પતિના જામીન કરાવ્યા હતા.

આરોપી ક્રિષ્નપાલ લોઢીએ ૩૨ વર્ષની પૂજાને ગોળી મારી હતી, આ સિવાય તેના ૩૦ વર્ષીય મિત્ર મુન્ના પર પણ ફાયરિંગ કર્યું હતું, જેની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે પૂજાના મૃતદેહને ઓટોપ્સી માટે મોકલ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, પૂછપરછ દરમિયાન ક્રિષ્નપાલે કહ્યું હતું કે, તેની પત્ની તેને દગો આપી રહી હોવાની શંકા હતી અને તેથી મારી નાખી. ‘તે મરવાને લાયક હતી અને તેથી મેં તેને મારી નાખી, મને કોઈ પસ્તાવો નથી’, તેમ તેણે કહ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, ૨૦૧૨માં ક્રિષ્નાપાલ પૂજા સાથે ભાગી ગયો હતો અને પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. પરિવારના ભરણપોષણ માટે તે પાર્લર ચલાવતી હતી. ક્રિષ્નપાલ અગાઉ હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયો હતો અને જેલમાં બંધ હતો. હાલમાં જ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. હત્યા બાદ તરત જ હથિયાર સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી. બરેલીના એસપી (શહેર) રાહુલ ભાટીએ કહ્યું હતું કે, ‘આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

આઈપીસીની કલમ ૩૦૨ (હત્યા) અને ૩૦૭ (હત્યાનો પ્રયાસ) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, પૂજા અને ક્રિષ્નપાલને બે દીકરા છે. બીજા દીકરાના જન્મ બાદ ક્રિષ્નપાલ શંકા કરવા લાગ્યો હતો. પૂજાને તે જ વિસ્તારમાં રહેતા અને ફળ વેચતા મુન્ના સાથે આડાસંબંધો હોવાનું તેને લાગતું હતું.

તેણે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું કહી તે તેને ઘણીવાર મારતો હતો. પૂજા પિયરમાં કોઈને આ અત્યારચાર વિશે એટલા માટે નહોતી જણાવવા માગતી કારણ કે, તેણે બધાની વિરુદ્ધ જઈ બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા.

ક્રિષ્નપાલે ત્રણ મહિના પહેલા જ મુન્નાને ધમકી આપી હતી અને તેનું મોત તેના હાથે લખાયું હોવાનું કહ્યું હતું. તે જ્યારે જેલમાં હતો ત્યારે પૂજા તેને મળવા જતી હતી અને કેસ પણ લડી હતી. તેણે ૧૫ દિવસ પહેલા જામીન કરાવ્યા હતા. ત્યાંથી બહાર આવ્યા બાદ ફરી ક્રિષ્નાપાલે પૂજાને મારવાનું શરૂ કરી દીધું હતું.

પૂજાને ક્યાં ખબર હતી કે પતિ એક દિવસ તેનો જીવ લઈ લેશે!. પૂજાના માતા શીલા દેવીએ કહ્યું હતું કે ‘ક્રિષ્નાપાલ દારુડિયો બની ગયો હતો અને મારી દીકરીને રોજ રાતે મારતો હતો. શનિવારે ક્રિષ્નપાલ નશાની હાલતમાં ઘરે આવ્યો હતો અને સગીર વયના દીકરા સામે પૂજાને અપશબ્દો કહ્યા બાદ મારવાનું શરૂ કર્યું હતું.

જ્યારે તેણે વિરોધ કર્યો તો તે ગુસ્સે થઈ ગયો હતો અને દેશી બનાવટની પિસ્તોલ કાઢી હતી. પૂજા ગભરાઈ ગઈ અને ઘર બહાર ભાગી હતી. ક્રિષ્નપાલ તેની પાછળ દોડ્યો હતો અને ગોળી મારી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.