Western Times News

Gujarati News

કરિયાણાંનો વેપારી પાકિસ્તાની એજન્ટ બની તારાપુરમાં રહેતો હતો

તારાપુરથી પાકિસ્તાનનો એજન્ટ ઝડપાતા ખળભળાટ

ભારતીય સેનાની માહિતી મેળવવાના પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ: ગુજરાત એટીએસનું સફળ ઓપરેશન

(પ્રતિનિધિ) આણંદ, આણંદ જિલ્લાના તારાપુર ખાતે એટીએસ દ્વારા એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. મૂળ પાકિસ્તાનમાં જન્મેલ અને વર્ષોથી તારાપુર સ્થાયી થયેલ એક આધેડ શખ્સ દ્વારા ભારતીય સેના અને સુરક્ષા એજન્સી વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી.

જેને ગુજરાત એટીએસ દ્વારા ગતરોજ દબોચી લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના આ ષડયંત્રનો પર્દાફાશ કરી ગુજરાત એટીએસએ ખળભળાટ મચાવી દિધો છે. આ સમગ્ર મામલે આરોપીને આજરોજ એટીએસ દ્વારા તારાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગત દિવસો દરમ્યાન ગુજરાત એટીએસને મિલીટરી ઇન્ટેલિજન્સ દ્વારા એક બાતમી મળી હતી. જેમાં ઉલ્લેખ હતો કે પાકિસ્તાનથી એલટીવી દ્વારા મૂળ પાકિસ્તાનમાં જન્મેલ તારાપુર ખાતે કેટલીક વ્યક્તિઓ રહે છે. જેઓએ ભારતીય નાગરિકતા પણ મેળવી લીધેલ છે.

તેઓ દ્વારા ભારતીય સીમ કાર્ડ મેળવી તેમાં વ્હોટ્‌સ એપ ચાલુ કરી ભારતીય જવાનોના મોબાઈલ નંબરોનો ડેટા મેળવવામાં આવી રહ્યો હતો. જેના થકી ભારતીય સુરક્ષાની અતિ સંવેદનશીલ અને આર્મીને લગતી ગુપ્ત માહિતી મેળવવામાં આવી રહી હતી.

આમ ભારતની સુરક્ષાને જાેખમમાં મૂકી અન-અધિકૃત રીતે જવાનોના મોબાઈલમાં પ્રવેશ કરી ડેટા મેળવવામાં આવી રહ્યો હતો. આ બાતમીના આધારે ગુજરાત એટીએસના પીઆઈ સી એચ પનારા, પીએસઆઈ પરેશ વસાવા અને તેઓની ટીમ દ્વારા ઝિણવટભરી તપાસ શરૂ થઈ હતી. આ તપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

મળતી માહિતી મુજબ પાકિસ્તાનની આર્મી અથવા જાસૂસી સંસ્થાના કોઈ એજન્ટ દ્વારા ભારતીય મોબાઈલનું સિમ કાર્ડ મેળવવામાં આવ્યું હતું. તે નંબરમાં વોટ્‌સએપ ચાલુ કરી ભારતીયો અને ભારતીય સુરક્ષા સાથે સંકળાયેલ કર્મચારીઓનો સંપર્ક કરી પરિચય કેળવવામાં આવતો હતો.

ત્યારપછી વોટ્‌સએપ દ્વારા કોઈ લિંક મારફતે ભારતીયો અને ભારતીય સુરક્ષા કર્મચારીઓના નંબરો ઉપર માલવેર વાઈરસ મોકલવામાં આવતો હતો. જેથી આવા નંબરોનો એક્સેસ ડેટા મેળવી તેનો ઉપયોગ યુદ્ધમાં સરળતા થાય તેવો ઈરાદો હોવાનું બહાર આવ્યું હતું.

આ સાથે ભારતની આંતરિક સુરક્ષા અને સલામતીને લગતી અતિ સંવેદનશીલ તથા ગુપ્ત માહિતી મેળવવામાં આવી રહી હતી. આ સમગ્ર દેશ વિરોધી પ્રવૃત્તિમાં પાકિસ્તાનને મદદગારી કરવામાં તારાપુરના લાભશંકર દુર્યોધન મહેશ્વરીનો (ઉ.વ.૫૩) હાથ હોવાની ચોકાવનારી વિગતો એટીએસ સામે આવી હતી. જેથી ગુજરાત એટીએસ દ્વારા લાભશંકર મહેશ્વરીને તારાપુર ખાતેથી દબોચી લઈ આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

વારાફરતી પાકિસ્તાન જઈ આવ્યા

મૂળ પાકિસ્તાનનો લાભશંકર મહેશ્વરી છેલ્લા ૨૪ વર્ષથી તારાપુર ખાતે રહે છે. પરંતુ અચાનક ગત વર્ષ ૨૦૨૨માં લાભશંકરે તેની પત્નિ સાથે પાકિસ્તાન જવા વિઝા અરજી કરી હતી. તેમાંય ઝડપથી પાકિસ્તાન પહોંચવા ત્યાંની એમ્બેસીના કોઈ શખ્સની મદદથી વિઝા મેળવ્યા હતા.

લાભશંકર અને તેની પત્નિ પાકિસ્તાન જઈ આવ્યા પછી તેની બહેન અને ભાણીને પાકિસ્તાન મોકલવા વિઝા અરજી કરી હતી. જેઓને પણ પાકિસ્તાન એમ્બેસીના એ શખ્સ થકી જ વિઝા મળ્યા હતા. આમ છેલ્લા એક વર્ષ દરમ્યાન લાભશંકર, તેની પત્નિ, બહેન અને ભાણી પાકિસ્તાન જઈ આવ્યા છે. પરંતુ ભારત આવ્યાના ૨૩ વર્ષ બાદ અચાનક પાકિસ્તાન શા માટે યાદ આવ્યું ? એ તપાસનો વિષય બનવા પામ્યો છે.

…વાયા જામનગર
જે ભારતીય સીમ કાર્ડ પાકિસ્તાન સુધી પહોંચ્યું તે જામનગરના મોહમ્મદ સકલૈન ઉમર થઈમ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. તે સીમ કાર્ડ જામનગરના જ અસગર આજી મોદીના મોબાઈલમાં એક્ટીવેટ થયું હતું. જેમાં વોટ્‌સએપ ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન એમ્બેસીમાં સંપર્ક ધરાવતા એક શખ્સની સૂચના લાભશંકરને વોટ્‌સએપ ઉપર મળતા અસગર આજી પાસેનો મોબાઈલ સીમ કાર્ડ સાથે તેણે સ્વીકાર્યો હતો.

આ સીમ કાર્ડ લાભશંકરે તેની બહેન થકી પાકિસ્તાન મોકલાવ્યું હતું. પાકિસ્તાનમાં લાભશંકરની માસીના દીકરા કિશોર ઉર્ફે સવાઈ જગદીશભાઈ રામવાણીને આ સીમ કાર્ડ પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાંથી એ સીમ કાર્ડ પાકિસ્તાન આર્મી અથવા ત્યાંની જાસૂસી સંસ્થાના કોઈ એજન્ટને પહોંચાડ્યું હોવાનો ઘટઃસ્ફોટ ગુજરાત એટીએસે કર્યો હતો.

કરિયાણાંનો વેપારી પાકનો મદદગાર
મૂળ પાકિસ્તાનમાં જન્મેલ લાભશંકર દૂર્યોધન મહેશ્વરી (ઉ.વ.૫૩) તેની પત્નિ સાથે વર્ષ ૧૯૯૯માં એલટીવી વિઝા મારફતે તારાપુર ખાતે આવ્યો હતો. આશરે છ વર્ષ બાદ તેઓને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ તે સમયે લાભશંકર તેની પત્નિના ઈલાજ માટે તેની બહેનને ત્યાં આવ્યો હતો.

પરંતુ ત્યારબાદ લાભશંકરે તારાપુર ખાતે કરિયાણાંનો છુટક વેપાર કરવા દુકાન શરૂ કરી હતી. લગભગ ૨૪ વર્ષથી તારાપુર ખાતે રહેતા લાભશંકરને ગત વર્ષ ૨૦૨૨માં પાકિસ્તાન જવાનું થયું હતું. આમ કરિયાણાંના વેપાર સાથે સંકળાયેલ વ્યક્તિ પાકિસ્તાનનો મદદગાર નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

૭ દિ’ના રિમાન્ડ મંજૂર
પાકિસ્તાનને મદદગારી કરવાના કેસમાં એટીએસ દ્વારા તારાપુરથી લાભશંકર મહેશ્વરીને ઝડપી પાડ્યો હતો. જેને આજરોજ તારાપુર કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર ષડયંત્ર સંદર્ભે હજી ઘણી બાબતોને લઈ તપાસ જરૂરી હોવાથી કોર્ટે તા.૨૭ ઓક્ટોબરને સાંજે ૬ વાગ્યા સુધી એટલેકે ૭ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.