Western Times News

Gujarati News

ઐશ્વર્યા રાય અને નણંદ શ્વેતા વચ્ચેનો ખટરાગ દૂર થયો!

મુંબઈ, જામનગરમાં મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને તેની વાગ્દત્તા રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા. ત્રણ દિવસના ભવ્ય કાર્યક્રમમાં દેશ-વિદેશના બિઝનેસ જગતની હસ્તીઓ, સ્પોર્ટ્‌સ-મનોરંજન અને રાજકારણની હસ્તીઓ સામેલ થઈ હતી.

બચ્ચન પરિવાર પણ અંબાણી ફેમિલીના આમંત્રણ પર જામનગર પહોંચ્યો હતો. જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન, આરાધ્યા બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા અને તેના બંને બાળકો નવ્યા-અગસ્ત્ય જામનગરમાં હાજર હતા. ૩ માર્ચે રાધિકા-અનંતનો પ્રી-વેડિંગ સમારોહ પૂર્ણ થતાં બચ્ચન પરિવાર મુંબઈ આવવા રવાના થયો હતો.

આ દરમિયાન એરપોર્ટ પર જે દ્રશ્યો સર્જાયા તેણે બે મુખ્ય અફવાઓનું ખંડન કર્યું હતું. થોડા દિવસ પહેલા જ ચર્ચા હતી કે, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નજીવનમાં તિરાડ પડી છે. ઐશ્વર્યા બચ્ચન પરિવારનું ઘર છોડીને પોતાના પિયરમાં રહેવા જતી રહી છે.

જ્યારે બીજી ખબર એવી હતી કે, શ્વેતા બચ્ચનને પ્રતીક્ષા બંગલો આપી દેવાતાં ઐશ્વર્યા અને શ્વેતા વચ્ચેના સંબંધો વણસ્યા છે. નણંદ-ભાભી વચ્ચે બોલવાના સંબંધ પણ નથી રહ્યા. આ બંને અફવાઓનું ખંડન જામનગરમાં થયું હતું. ઐશ્વર્યા રાય તેની દીકરી આરાધ્યાને લઈને આખા બચ્ચન પરિવાર સાથે જામનગર આવી હતી.

જામનગરમાં ફંક્શનમાં હાજરી આપ્યા પછી આખો બચ્ચન પરિવાર સાથે જ મુંબઈ જવા રવાના થયો હતો. મુંબઈ એરપોર્ટ પર ઐશ્વર્યા રાય નણંદ શ્વેતા સાથે હસીને વાતો કરતી જોવા મળી હતી. થોડીવાર વાતો કર્યા પછી ઐશ્વર્યાએ હસીને શ્વેતા બચ્ચનને આવજો કહ્યું હતું.

શ્વેતા અને ઐશ્વર્યાની જાહેરમાં આ પ્રકારની મિત્રતા ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આ વિડીયો પરથી નણંદ-ભાભી વચ્ચેના સંબંધોમાં ખટરાગ ના હોવાની પુષ્ટિ થઈ હતી. વળી, આરાધ્યા દાદા અમિતાભનો હાથ પકડીને આવી હતી. તેમની સાથે જ કારમાં બેસીને ઘરે ગઈ હતી.

જ્યારે અભિષેક અને ઐશ્વર્યા એક કારમાં જ સાથે ઘરે ગયા હતા. જેથી સ્પષ્ટ થાય છે કે, ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યા બચ્ચન પરિવાર સાથે તેમના બંગલામાં જ રહે છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા અંબાણી પરિવારનો કાર્યક્રમ માણતાં જોવા મળી રહ્યા છે. ત્રણેય જણાંએ ક્રીમ રંગના મેચિંગ કપડા પહેર્યા હતા.

આરાધ્યા બચ્ચનનો લૂક પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આરાધ્યાની હેરસ્ટાઈલ આ વખતે થોડી અલગ જોવા મળી હતી.

આરાધ્યાનો આ નવો લૂક જોઈને લોકો તેની સરખામણી મમ્મી ઐશ્વર્યા સાથે કરવા લાગ્યા હતા. ઐશ્વર્યા રાય યુવાનીમાં જેવી દેખાતી હતી એવી જ આરાધ્યા હાલ દેખાઈ રહી છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ શ્વેતાની દીકરી નવ્યા નંદાએ આરાધ્યાના વખાણ કરતાં તેને બુદ્ધિશાળી ગણાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.