Western Times News

Gujarati News

રાજકોટના મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રિએ ભીષણ આગ લાગી

રાજકોટ, રાજકોટના પેલેસ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની કમનસીબ ઘટના બની છે. આ દુર્ઘટનામાં ચોથા માળે આવેલા એક ફ્લેટમાં લાગેલી આગને કારણે ગૂંગળામણ થવાથી માતા અને પુત્રનું મોત નીપજ્યું છે.

આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે પૌત્ર બહાર હોવાથી તેનો બચાવ થયો છે.રાજકોટના પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નંબર ૮માં આવેલા ‘મનમંદિર એપાર્ટમેન્ટ’ ના ચોથા માળે, બ્લોક નંબર સી-૪૦૨માં ગત રાત્રે આશરે ૧૨ વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી.

આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં હોલ અને રસોડામાં રહેલી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી.આગ લાગી ત્યારે રૂમમાં ૯૨ વર્ષીય પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા અને તેમના ૬૨ વર્ષીય પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પુજારા સૂતા હતા. પ્રાથમિક તપાસ મુજબ, બંનેને કોઈ ગંભીર (દાઝ્યાના નિશાન) થઈ નહોતી, પરંતુ આગના ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ બેભાન થઈ ગયા હતા.

સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસના અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી રહી છે.

આ દુર્ઘટનામાં એક આશ્વાસન એ રહ્યું કે મૃતક નરેન્દ્રભાઈનો પુત્ર સમીર, જે થોડા દિવસો પહેલા જ રાજકોટ આવ્યો હતો, તે સમયે ઘરે હાજર નહોતો. આથી તેનો આબાદ બચાવ થયો છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.