વટવામાં બનશે મેગા કોચિંગ ટર્મિનલ, અમદાવાદ મંડળમાંથી 150થી વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે
કાયાકલ્પ તરફ વટવા સ્ટેશન: પુનર્વિકાસ કાર્ય ઝડપી ગતિએ ચાલુ
વટવા રેલવે સ્ટેશનનું બદલાતું સ્વરૂપ: નવું સ્ટેશન બિલ્ડિંગ, 40 ફૂટ પહોળો એફઓબી અને લિફ્ટ જેવી અદ્યતન સુવિધાઓથી થશે સજ્જ
પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ મુસાફરોને સુરક્ષિત, સુગમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ જ દ્રષ્ટિકોણ હેઠળ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત વટવા રેલવે સ્ટેશનનું વ્યાપક પુનર્વિકાસ કાર્ય ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહ્યું છે. અંદાજિત ₹33.64 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ કામોનો મુખ્ય હેતુ સ્ટેશનને માત્ર પરિવહન કેન્દ્ર તરીકે નહીં પરંતુ શહેરના આધુનિક “સિટી સેન્ટર” તરીકે વિકસાવવાનો છે.
આ સાથે વટવામાં લગભગ 3 કિલોમીટર લાંબા મેગા કોચિંગ ટર્મિનલના નિર્માણનો પણ પ્રસ્તાવ છે. તેના નિર્માણથી અમદાવાદ ક્ષેત્રમાં ટ્રેન સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ ભવિષ્યમાં અનેક નવી ટ્રેનોના સંચાલન માટે માર્ગ પ્રસસ્ત થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 20 નવી પરીક્ષણ (એક્ઝામિનેશન) લાઈનો અને 40થી વધુ સ્ટેબલિંગ લાઈનોનું નિર્માણ કરવામાં આવશે. કુલ મળીને લગભગ 100 લાઈનોનું વિશાળ કોચિંગ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવશે, જે દેશના સૌથી મોટા ટર્મિનલોમાંથી એક બનશે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ડીપીઆર મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર રેલવેની અવસંરચનાને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ પ્રદેશના વિકાસ અને મુસાફરોની સુવિધાઓમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.
મુખ્ય વિકાસ કાર્યો: એક નવી ઓળખ
સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત બનાવવા માટે નીચેના કાર્યો કરવામાં આવી રહ્યા છે:
· નવું સ્ટેશન બિલ્ડિંગ: લગભગ 6,469 ચોરસ ફૂટ વિસ્તારમાં એક ભવ્ય અને આધુનિક સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ટિકિટિંગ, પૂછપરછ અને અન્ય મુસાફરી સેવાઓ વધુ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ રહેશે.
· વિશાળ સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગ: ટ્રાફિકની ભીડભાડને નિયંત્રિત કરવા માટે 2,19,584 ચોરસ ફૂટ વિસ્તારમાં વિશાળ પાર્કિંગ અને સર્ક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે, જેથી ખાનગી અને જાહેર વાહનોના અવરજવરમાં સરળતા રહેશે.
· કવર શેડ અને કેનોપી: મુસાફરોને પ્રતિકૂળ મૌસમ (તડકો અને વરસાદ)થી બચાવવા માટે 13,627 ચોરસ ફૂટની કેનોપી અને પ્લેટફાર્મો પર 13,164 ચોરસ ફૂટ વિસ્તારમાં કવર શેડનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
· આરામદાયક વેઇટિંગ હોલ: મુસાફરો માટે લગભગ 926 ચોરસ ફૂટ વિસ્તારમાં આધુનિક વેઇટિંગ હોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં ઉત્તમ બેસવાની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે.
· પ્લેટફોર્મ મજબૂતીકરણ: લગભગ 12,056 ચોરસ ફૂટ વિસ્તારમાં પ્લેટફોર્મ સરફેસિંગ બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને ચાલવામાં સરળતા રહેશે.
· બીજું પ્રવેશદ્વાર (Second Entry): મુસાફરોની સુવિધા માટે લગભગ 2,583 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટેશનનું બીજું પ્રવેશદ્વાર વિકસાવવામાં આવ્યું છે.
· સ્વચ્છતા અને પાણીની વ્યવસ્થા: પ્લેટફોર્મ પર 4 નવા આધુનિક શૌચાલય બ્લોક અને શુદ્ધ પીવાના પાણી માટે નવા વોટર બૂથ બનાવવામાં આવી રહ્યા છે.
· સ્ટેશનને સંપૂર્ણપણે બેરિયર-ફ્રી (Barrier-free) બનાવવા માટે પણ મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે:
· વિશાળ ફૂટ ઓવર બ્રિજ (FOB): વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને 40 ફૂટ પહોળો નવો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજ પ્લેટફોર્મોને જોડશે તેમજ સ્ટેશનના બંને છેડા વચ્ચે સરળ અવરજવર સુનિશ્ચિત કરશે.
· સમાવેશી સુવિધાઓ (લિફ્ટ અને દિવ્યાંગજન સુવિધા): દરેક પ્લેટફોર્મ પર લિફ્ટ સ્થાપિત કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ સુવિધા ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ માટે ખૂબ લાભદાયક સાબિત થશે.
વટવા રેલવે સ્ટેશનના આ પુનર્વિકાસથી માત્ર રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સુધારો નહીં થાય, પરંતુ સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને પણ ગતિ મળશે. કાર્યો પૂર્ણ થયા બાદ સ્ટેશનનું સ્વરૂપ આધુનિક, વ્યવસ્થિત અને સ્વચ્છ દેખાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વટવા વિસ્તારથી મુસાફરી કરતા હજારો દૈનિક મુસાફરોને વધુ સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને આનંદદાયક મુસાફરીનો અનુભવ મળશે.
