Western Times News

Gujarati News

“હું પહેલેથી જ ધીમો છું, વધુ ધીમાં નથી પડવું” : સુનિલ ગ્રોવર

આમિર ખાન અને કાદર ખાન જેવી હસ્તીઓની મિમિક્રીને અદ્ધભુત પ્રતિસાદ મળ્યા

અમારે તો ઘણું બધું કરવાની ઈચ્છા હોય છે, પરંતુ લોકો તેને કેવી રીતે સ્વીકારે છે તે જ અગત્યનું છે

મુંબઈ,એક્ટર અને કોમેડિયન સુનિલ ગ્રોવર કોમેડી અને ખાસ તો મિમિક્રીની દુનિયામાં એક એવું નામ બની ગયું છે કે તેની મિમિક્રીને હવે આદર્શ માનવામાં આવે છે, તેની મિમિક્રી નકલ નહીં પણ ખરા અર્થમાં પરકાયા પ્રવેશ લાગે છે. તાજેતરમાં કોમેડી અને મિમિક્રીની દુનિયામાં આવતા પડકારો વિશે તેણે ખુલીને વાત કરી હતી. આમિર ખાન અને કાદર ખાન જેવી હસ્તીઓની તેની મિમિક્રીને અદ્ધભુત પ્રતિસાદ મળ્યો છે, પરંતુ સુનિલ માને છે કે એક કલાકાર માટે માત્ર કામ કરવું જ નહીં, પરંતુ પ્રેક્ષકો તેને કેવી રીતે સ્વીકારે છે તે પણ મહત્વનું છે.

સુનિલે આ અંગે કહ્યું, “અમારે તો ઘણું બધું કરવાની ઈચ્છા હોય છે, પરંતુ લોકો તેને કેવી રીતે સ્વીકારે છે તે જ અગત્યનું છે.”કોમેડી વિશે વાત કરતાં સુનિલ ગ્રોવરે જણાવ્યું કે આ સૌથી મુશ્કેલ જાનર્સમાંથી એક છે. “દુનિયામાં કોણ કહે છે કે ‘મને હસવું ગમતું નથી’? કોઈને હસાવવાની ક્ષમતા એક ગિફ્ટ છે. જ્યારે લોકો કહે છે કે અમારા શોને કારણે તેઓ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા અથવા ડૉક્ટરે અમારો શો જોવા કહ્યું, ત્યારે લાગે છે કે આપણું કામ દવા બની ગયું છે.” તાજેતરમાં કોમેડિયન ઝાકિર ખાને કામના દબાણને કારણે બ્રેક લીધો હતો.

આ વિશે પૂછતા સુનિલ ગ્રોવરે કહ્યું કે તેને એવો કોઈ થાક કે ત્રાસ અનુભવાતો નથી. “મને દબાણ ત્યારે લાગે છે જ્યારે લોકોનો પ્રેમ ઓછો થાય. હું પહેલેથી જ ધીમો છું, તેથી હવે વધુ ધીમા નથી પડવું. મારે તો વધુ ગતિથી આગળ વધવું છે. જીવનમાં હું ઘણો સમય નકામો બેસી રહ્યો છું, એટલે આ કામની કિંમત મને ખબર છે. જે દિવસે આ નહીં રહે, તે દિવસે મને મુશ્કેલી થશે.” તાજેતરમાં અભિનેત્રી નીના ગુપ્તાએ પણ સુનીલ ગ્રોવરના લૂકની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેને વધુ વિવિધ પ્રકારના કામ મળવા જોઈએ. આ વિશે પ્રતિસાદ આપતા તેણે મજાકિયા અંદાજમાં કહ્યું, “હું તેમની વાત સાથે સંપૂર્ણ સહમત છું. નીનાજીનો આભાર અને હું તેમને પ્રેમ કરું છું. આ વાતથી મને સમજાયું કે તેમની પાસે સુંદરતા ઓળખવાની સારી નજર છે.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.