રણવીરની ઝોમ્બી થ્રિલર પ્રલય બ્લાઇન્ડનેસની રિમેક હોવાનો હંસલ મહેતાનો ઇનકાર
મુંબઈ, રણવીર સિંહ હાલમાં ધુરંધર ૨ની સફળતાનો આનંદ માણી રહ્યો છે, કારણ કે તે થિયેટરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે. હવે તે ઝોમ્બી થ્રિલર પ્રલયમાં જોવા મળશે, ત્યારે એવી ચર્ચા હતી કે આ ફિલ્મ ૨૦૦૮ની ફિલ્મ બ્લાઇન્ડનેસની રિમેક અથવા એડેપ્ટેશન છે. એક ઇન્ટરવ્યુમાં પ્રોડ્યુસર હંસલ મહેતાએ આ દાવાઓ અને ચર્ચાને નકારી કાઢ્યાં છે.
તેમણે કહ્યું, “આ એડેપ્ટેશન નથી. જય અને વિશાલ કપૂરે એક નવી વાર્તા લખી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે પોર્ટુગીઝ લેખક જોઝે સારામાગોના કામને સ્ક્રીન પર અનુવાદિત અને રૂપાંતરિત કરવું મુશ્કેલ હોત.જો આ અંગ્રેજી ફિલ્મની વાત કરવામાં આવે તો, બ્લાઇન્ડનેસ ૨૦૦૮ની એક થ્રિલર ફિલ્મ છે, જેમાં જુલિયાન મૂર અને માર્ક રફેલો અભિનય કરે છે.
આ ફિલ્મ એક અચાનક ફેલાયેલી અંધત્વની મહામારી પર આધારિત છે, જે એક શહેરના લગભગ દરેક વ્યક્તિને અસર કરે છે અને ત્યારબાદ સર્જાતી સામાજિક અસ્થિરતાને દર્શાવે છે.આ જ વાતચીતમાં, હંસલ મહેતાએ એવું પણ જણાવ્યું કે રણવીર આ પ્રોજેક્ટ સાથે કેવી રીતે જોડાયો. તેમણે કહ્યું, “જય લાંબા સમયથી આ વિચાર પર કામ કરી રહ્યા હતા. જ્યારે રણવીર સિંહે તેમનું કામ જોયું, ત્યારે તેણે પોતે સંપર્ક કર્યાે અને પછી જયે તેને આ પ્રોજેક્ટ વિશે રજૂઆત કરી.
જ્યારે રણવીરે આ વિચાર પસંદ કર્યાે, પછી અમે તેમાં રોકાણ કર્યું અને જયને ફિલ્મની દુનિયા બનાવવામાં મદદ કરી.”પ્રલય એક આવનારી ઝોમ્બી થ્રિલર ફિલ્મ છે, જે પોસ્ટ-એપોકેલિપ્ટિક દુનિયામાં સ્થિત છે. હંસલ મહેતા દ્વારા ટ્‰ સ્ટોરી ફિલ્મ્સ હેઠળ નિર્મિત આ પ્રોજેક્ટમાં રણવીર સિંહ પણ તેનાં પ્રોડક્શન હાઉસ મા કસમ ફિલ્મ્સ હેઠળ સહ-પ્રોડ્યુસર તરીકે જોડાયો છે.
મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મથી જય મહેતા નિર્દેશન ક્ષેત્રમાં ડેબ્યુ કરી રહ્યા છે, જેણે વિશાલ કપૂર સાથે મળીને સ્ક્રિપ્ટ લખી છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬ના મધ્યમાં શરૂ થવાની શક્યતા છે અને તેમાં કલ્યાણી પ્રિયદર્શન સહ-અભિનેત્રી તરીકે જોવા મળી શકે છે, જેનું આ બોલિવૂડમાં ડેબ્યુ હશે.
બ્લેઇડનેસ પરથી પ્રેરિત ફિલ્મ અંગેની ચર્ચા મુદ્દે હંસલ મહેતાએ સ્પષ્ટપણે કહ્યું કે આ દાવાઓ ખોટા છે. “આ એડેપ્ટેશન નથી. બ્લાઇન્ડનેસ જેવી કૃતિને ફિલ્મમાં રૂપાંતરિત કરવી સરળ નથી. મેં ૨૦૦૮ની તેની ફિલ્મ આવૃત્તિ (જુલિયન મૂર અને માર્ક રફેલો અભિનિત) જોઈ હતી અને તે ખાસ સારી નહોતી.
સારામાગો અથવા સલમાન રશ્દી જેવા લેખકો… મને લાગે છે કે તેમની કૃતિઓ કાગળ પર જ શ્રેષ્ઠ લાગે છે. સિનેમામાં તેને રજૂ કરતાં તેમની જાદુઈ અસર ઘટી જાય છે.”તેમણે ભારપૂર્વક એવું પણ જણાવ્યું કે ફિલ્મની સફળતા મોટા ભાગે તેની દુનિયા કેટલી વિશ્વસનીય રીતે સ્ક્રીન પર રજૂ થાય છે તેના પર નિર્ભર રહેશે.
“જયની ફિલ્મની જીત તેની ઇમર્સિવ પ્રકૃતિ પર આધારિત રહેશે. તમે પોસ્ટ-એપોકેલિપ્ટિક, ડિસ્ટોપિયન દુનિયાને વિશ્વસનીય કેવી રીતે બનાવશો? તે માટે અમે વિશ્વભરના શ્રેષ્ઠ પ્રતિભાશાળી લોકો સાથે કામ કરી રહ્યા છીએ. અમે હોલિવૂડ કરતાં ઘણાં ઓછા ખર્ચે આ હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”તેના મહત્ત્વાકાંક્ષી વિષય અને ઇમર્સિવ સ્ટોરીટેલિંગ પરના ફોકસ સાથે, પ્રલય ભારતીય સિનેમાના હાઇ-કોન્સેપ્ટ ફિલ્મોના વિકસતા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉમેરો બનવા જઈ રહી છે.SS1MS
