ઈરાન સાથેના યુદ્ધવિરામની મુદત લંબાવાઈઃ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટનો પ્રવાસ રદ
File Photo
અમેરિકામાં ટ્રમ્પ સામે યુદ્ધને લઈને લોકોમાં ભારે અસંતોષ છે (રોઇટર્સના પોલ મુજબ માત્ર 36 ટકા અમેરિકનો તેને સમર્થન આપે છે)
ટ્રમ્પે યુધ્ધ વિરામની મુદત લંબાવી અને વાટાઘાટોમાં ઈરાન ગેરહાજર, હોર્મુઝની સામુદ્રધુની પર તણાવ યથાવત
પાકિસ્તાનના સૈન્ય વડા આસિમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને વિનંતી કરી હતી કે “જ્યાં સુધી ઈરાનના નેતાઓ કોઈ સંગઠિત પ્રસ્તાવ ન લાવે ત્યાં સુધી હુમલો રોકી રાખો.”: ટ્રમ્પનો દાવો
ન્યૂયોર્ક, ૨૨ એપ્રિલ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામની મુદત અનિશ્ચિતકાળ માટે લંબાવી દીધી છે. આ યુદ્ધવિરામ પૂરો થવાના ગણતરીના કલાકો પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, ટ્રમ્પે જે વાટાઘાટોની આશા રાખી હતી, તેમાં ઈરાને ભાગ લેવાનો ઈનકાર કરી દીધો છે.
પોતાની શરતો સ્વીકારવા માટે ઈરાનને અનેક ધમકીઓ આપ્યા બાદ, મંગળવારે (સ્થાનિક સમય મુજબ) ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી કે “ઈરાન અત્યારે ગંભીર રીતે વિભાજિત છે”, તેથી જ્યાં સુધી તેહરાન કોઈ એક સમાન અભિગમ સાથે ન આવે ત્યાં સુધી તેઓ યુદ્ધવિરામ લંબાવી રહ્યા છે. મંગળવારે વહેલી સવારે CNBC ને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે ધમકી આપી હતી કે જો કોઈ સમજૂતી નહીં થાય તો તેઓ યુદ્ધવિરામ લંબાવશે નહીં અને “ઈરાન પર બોમ્બમારો કરવાની તૈયારી” કરી રહ્યા છે.
યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત સાથે જ રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે ઈરાની બંદરો પરનો નૌકાદળનો નાકાબંધી (Naval blockade) ચાલુ રહેશે. આ જ કારણ છે કે તેહરાન આ અઠવાડિયે ઇસ્લામાબાદમાં થનારી વાટાઘાટોથી દૂર રહ્યું છે. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz), જ્યાંથી વિશ્વનો 20 ટકા તેલ અને ગેસનો પુરવઠો પસાર થાય છે, તે બ્લોક હોવાથી વિશ્વ એક મોટી મુશ્કેલીમાં છે. આ જાહેરાતથી આશાનું એક કિરણ જરુર દેખાયું છે, પરંતુ હાલ પૂરતું બંને પક્ષે પ્રતિબંધો હટવાની કોઈ શક્યતા દેખાતી નથી.
ઈરાનની સરકારી મીડિયા ‘પ્રેસ ટીવી’એ જણાવ્યું કે તેહરાને “નાકાબંધી હટાવવા પર ભાર મૂક્યો છે” અને કહ્યું કે તેઓ “દબાણ હેઠળ વાટાઘાટોમાં ફરી જોડાશે નહીં.” ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, “ઈરાની વાટાઘાટકારોએ પાકિસ્તાની મધ્યસ્થી દ્વારા અમેરિકી પક્ષને જાણ કરી છે કે તેઓ બુધવારે ઈસ્લામાબાદમાં નહીં આવે” અને અત્યારે વાટાઘાટોમાં ભાગ લેવાની કોઈ શક્યતા નથી. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરારે પણ પુષ્ટિ કરી છે કે ઈરાન વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે ઇસ્લામાબાદ આવવાનું નથી.
ઈરાન સાથેની વાટાઘાટોનું નેતૃત્વ કરી રહેલા અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સ મંગળવારે સવારે પાકિસ્તાન જવાના હતા, પરંતુ ઈરાન દ્વારા બેઠક રદ કરવામાં આવશે તેવી આશંકાને પગલે તેમણે પ્રવાસ મોકૂફ રાખ્યો છે. ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવવા માટે ફરી એકવાર પાકિસ્તાનના નેતાઓની આડ લીધી છે. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાનના સૈન્ય વડા આસિમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને વિનંતી કરી હતી કે “જ્યાં સુધી ઈરાનના નેતાઓ કોઈ સંગઠિત પ્રસ્તાવ ન લાવે ત્યાં સુધી હુમલો રોકી રાખો.”
અગાઉ 7 એપ્રિલે, જ્યારે ઇસ્લામાબાદમાં 21 કલાકની વાટાઘાટો બાદ કોઈ પરિણામ ન આવ્યું, ત્યારે ટ્રમ્પે 14 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તે સમયે પણ તેમણે પાકિસ્તાનની વિનંતીનું બહાનું કાઢ્યું હતું. તે સમયે શાહબાઝ શરીફે ‘X’ પર યુદ્ધવિરામ માટેની વિનંતી પોસ્ટ કરી હતી, જે ટ્રમ્પ માટે “ફેસ-સેવિંગ” (માન મર્યાદા જાળવવા માટેનું) પગલું હતું, અને તે વ્હાઇટ હાઉસની મંજૂરીથી જ થયું હોવાનું બહાર આવ્યું હતું.
ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે તેમના સૂત્રો મુજબ, તેહરાને યુદ્ધવિરામ લંબાવવાની માંગ કરી નથી. તેમણે ચેતવણી આપી કે, “નૌકાદળની નાકાબંધીનો અર્થ એ છે કે દુશ્મનાવટ ચાલુ છે. જ્યાં સુધી નાકાબંધી ચાલુ રહેશે ત્યાં સુધી ઈરાન હોર્મુઝની સામુદ્રધુની ખોલશે નહીં, અને જરૂર પડશે તો બળપ્રયોગ કરીને નાકાબંધી તોડી નાખશે.”
ટ્રમ્પે તાજેતરમાં અનેકવાર કહ્યું હતું કે તેઓ ઈરાનને અગાઉના કરાર કરતા વધુ સારી ઓફર આપી રહ્યા છે. તેમણે કહ્યું કે જો ઈરાન આ સ્વીકારે તો તેઓ ફરીથી એક મજબૂત અને અદભૂત રાષ્ટ્ર બની શકે છે. પરંતુ આ માટે ઈરાને તેમના પરમાણુ મહત્વાકાંક્ષાઓનો સંપૂર્ણ ત્યાગ કરવો પડશે અને મિસાઈલ ક્ષમતા છોડવી પડશે. જોકે, ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાઓ બાદ ઈરાન આ શરતો સ્વીકારે તેવી શક્યતા ઓછી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હોર્મુઝની સામુદ્રધુની પર નિયંત્રણ જાળવવાનો છે, જે તેમના માટે પ્રાદેશિક સત્તાનું કેન્દ્ર છે.
ટ્રમ્પનું કહેવું સાચું છે કે ઈરાનનું નેતૃત્વ “ગંભીર રીતે વિભાજિત” છે, જેમાં સૈન્ય પર નિયંત્રણ ધરાવતા કટ્ટરપંથીઓ અત્યારે પ્રભુત્વ ધરાવે છે. ઈઝરાયેલ-લેબનન યુદ્ધવિરામ બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુની ખુલી છે, પરંતુ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ શનિવારે ફરીથી પ્રતિબંધો લાદી દીધા અને બે ભારતીય જહાજો પર ગોળીબાર પણ કર્યો.
ટ્રમ્પને આશા હતી કે ફેબ્રુઆરીમાં ટોચના નેતાઓના મોત બાદ ઈરાનમાં એક નવું, વાટાઘાટો માટે તૈયાર નેતૃત્વ આવશે. પરંતુ તે આશા ઠગારી નીવડી છે. હવે પરિસ્થિતિ એ છે કે કોનામાં વધુ સહનશક્તિ છે તે જોવાનું રહ્યું. લોકશાહી ધરાવતા અમેરિકામાં ટ્રમ્પ સામે યુદ્ધને લઈને લોકોમાં ભારે અસંતોષ છે (રોઇટર્સના પોલ મુજબ માત્ર 36 ટકા અમેરિકનો તેને સમર્થન આપે છે), અને નવેમ્બરમાં મધ્યવર્તી ચૂંટણીઓ પણ આવી રહી છે. બીજી તરફ, ઈરાન એક સરમુખત્યારશાહી શાસન છે જ્યાં વિરોધને દબાવી દેવામાં આવે છે અને નેતૃત્વના વર્તમાન જૂથમાં વધુ માર સહન કરવાની તૈયારી છે.
#Trump #Iran #USIranTension #Ceasefire #StraitOfHormuz #Geopolitics #MiddleEastCrisis #WorldNews
