યુરોપ સાથે સંબંધો મજબૂત કરશે PM મોદીઃ આવતા મહિને ચાર દેશોની મુલાકાતે જશે
File Photo
(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને યુરોપના ચાર દેશોના મહત્વપૂર્ણ પ્રવાસે જઈ શકે છે. અહેવાલો અનુસાર આ મુલાકાત ૧૫થી ૨૦ મે દરમિયાન યોજાય તેવી શક્યતા છે, જેમાં પીએમ મોદી નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ અને ઈટાલીની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ નોર્વેમાં યોજાનારા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં પણ ભાગ લેશે.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા બાદ વડાપ્રધાનની આ પ્રથમ યુરોપ યાત્રા હશે. આ વર્ષે જાન્યુઆરીમાં લગભગ ૧૮ વર્ષની લાંબી વાટાઘાટો બાદ આ સમજૂતી પર અંતિમ મહોર લાગી હતી. જોકે આ પ્રવાસ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વૈશ્વિક સ્તરે આ મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
પીએમ મોદીનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા વધી છે. ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલા સંકટને કારણે કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વના ૨૦ ટકા કાચા તેલનો પુરવઠો આ માર્ગેથી પસાર થાય છે અને હાલમાં ત્યાં સર્જાયેલી સ્થિતિને કારણે દુનિયાભરમાં ઉર્જા સંકટ ઊભું થયું છે.
આવા સમયે પીએમ મોદીની યુરોપિયન નેતાઓ સાથેની મુલાકાત વ્યૂહાત્મક રીતે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ભારત અને ઈેં વચ્ચેના ફ્રી ટ્રેડ ડીલની વાત કરીએ તો તેની શરૂઆત ૨૦૦૭માં થઈ હતી પરંતુ કેટલાક મતભેદોને કારણે ૨૦૧૩માં વાટાઘાટો અટકી ગઈ હતી. જૂન ૨૦૨૨માં ફરીથી પ્રયાસો શરૂ થયા અને આખરે સફળતા મળી.
આ કરાર હેઠળ ભારતની ૯૩ ટકા નિકાસ પર યુરોપના ૨૭ દેશોમાં કોઈ પણ પ્રકારની ડ્યુટી લાગશે નહીં. આ પગલું ભારતના મેક ઇન ઇન્ડિયા અભિયાનને વેગ આપવા અને ભારતીય ઉત્પાદનો માટે યુરોપના બજારો ખોલવા માટે માઇલસ્ટોન સમાન માનવામાં આવે છે.
