Western Times News

Gujarati News

નિકોલમાં ગાયના ડુપ્લીકેટ ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

૪૦૦ કિલો ઘીનો જથ્થો જપ્ત- વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી બનાવવામાં આવતું હતું

અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફૂડ વિભાગ દ્વારા નિકોલ વિસ્તારમાં દરોડા પાડીને લાયસન્સ વગર ગાયનું ડુપ્લીકેટ ઘી બનાવવાનું રેકેટનો પર્દાફાશ કર્યો છે. એએમસી ફુડ વિભાગ દ્વારા વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી બનાવવામાં આવતું અને ‘મંગલમૂર્તિ ગાયનું ઘી’ ના બ્રાન્ડના નામે અંદાજે રૃ.૧.૬૦ લાખની કિંમતનો આશરે ૪૦૦ કિલો ભેળસેળિયા – નકલી ઘીનો જથ્થો જપ્ત કરીને ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે

અને એફ.એસ.એસ.એ. આઈ. અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકારે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે જીપીએમસી એક્ટ અને એફ.એસ.એસ.એ. આઈ. અંતર્ગત કડક પગલાં લેવામાં આવશે. એએમસી ફુડ વિભાગ દ્વારા ૪૦૦ કિલો ઘીનો જથ્થો અને ૫૦૦ કિલો ખાલી જાર, લેબલો, પેકિંગ સાધનો, ગેસ સિલિન્ડર અને મોટા તપેલા સહિતના સાધનો સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ ફુડ વિભાગના જણાવ્યા અનુસાર, માલિક રામગોપાલ રાણારમજી કુંપાવત દ્વારા ૧૧૩, રોયલ બંગ્લોઝ, ચિત્રકુટ આવાસ યોજના, ગેટ નં. – ૧ સામે, નિકોલની જગ્યાએ રેસીડેન્ટ મકાનમાં કોઈપણ જાતની પરવાનગી વિના ડુપ્લીકેટ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હોવા અંગેની મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવતાં ડુપ્લીકેટ ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

તપાસ દરમિયાન માલૂમ પડ્‌યું કે, કોઈપણ રજીસ્ટ્રેશન કે એફ.એસ.એસ.એ. આઈ. લાયસન્સ વગર જ અહીં ભેળસેળિયું ઘી બનાવીને તેને ‘મંગલમૂર્તિ ગાયનું ઘી’ બ્રાન્ડના નામે પેકિંગ કરવામાં આવતું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, આ એકમ દ્વારા કઠવાડા વેદ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-૨ સ્થિત ‘મુરલીધર ફૂડ પ્રોડક્ટ્‌સ’ને મેન્યુફેક્ચરર તરીકે દર્શાવવામાં આવતા હતા.

પેકિંગ પર જે લાયસન્સ નંબરનો ઉલ્લેખ હતો તેની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી હતી. ફૂડ વિભાગે સ્થળ પરથી અંદાજિત કિંમત રૂ.૧.૬૦ લાખ કિંમતનો ૪૦૦ કિલો ગ્રામ (૫૦૦ ગ્રામ અને ૧૦૦ મી.લી.ના જાર) ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપી પાડયો હતો. ફૂડ વિભાગની ટીમે ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.