Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં BJPના શપથગ્રહણ સમારોહમાં મારે આવવાનું જ છેઃ મોદી

File

(એજન્સી)કોલકાતા, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના અંતિમ તબક્કા પહેલા બેરેકપુરમાં યોજાયેલી વિશાળ રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ રેલી ભાજપ માટે મહત્વપૂર્ણ અંતિમ પ્રચાર સભા તરીકે જોવામાં આવી રહી છે, વડાપ્રધાને રેલીની શરુઆતમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં તેમની અંતિમ સભા છે.

તેમણે કહ્યું કે, હું જ્યાં-જ્યાં ગયો ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, બંગાળના લોકોનો મેં જે મિજાજ જોયો છે, તેનાથી એ વિશ્વાસ લઈને પાછો જઈ રહ્યો છું કે ૪ મેના પરિણામો પછી ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં મારે આવવાનું જ છે.

રેલી દરમિયાન પીએમ મોદીએ પોતાના ભાષણમાં પશ્ચિમ બંગાળ સાથેના લાગણીસભર જોડાણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ૧૮૫૭ની વાત કરી અને બેરેકપુરની ઐતિહાસિક ધરતીને યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે આ જ ભૂમિએ સ્વતંત્રતા માટેના પ્રથમ સંઘર્ષને તાકાત પૂરી પાડી હતી, જેના કારણે દેશભરમાં સ્વાભિમાન અને બળવો જાગ્યો હતો.

વડાપ્રધાન મોદીએ ભાષણની શરુઆતમાં આત્મવિશ્વાસ સાથે ભાજપના શપથગ્રહણ સમારોહમાં આવવાની વાત કરી હતી, તેમણે કહ્યું કે, આ ચૂંટણીની મારી અંતિમ સભા છે, બંગાળમાં હું જ્યાં પણ ગયો, બંગાળના લોકોનો મેં જે મિજાજ જોયો છે, તેની સાથે હું એ વિશ્વાસ સાથે પાછો જઈ રહ્યો છું કે, ૪ મેના પરિણામો બાદ, ભાજપના શપથગ્રહણ સમારોહમાં મારે આવવાનું જ છે.

આ માટે જ મારો ઉત્સાહ વધી જાય છે, હું પાછલા ૩-૪ દાયકાથી દેશના ખુણેખુણામાં જતો રહ્યો છું, રાજકારણમાં આવ્યા પછી, ભાજપમાં આવ્યા પછી. હું ભાજપના કાર્યકર્તા તરીકે, પાર્ટી જે કોઈ કામ સોંપે તે હું કરું છું. ચૂંટણીની જવાબદારી સંભાળવાનું પણ તેનો ભાગ છે. હું ન દિવસ જોઉં છું, ન રાત, મોસમ પણ નથી જોતો, બસ ચાલી નીકળું છું, સાથીઓ.. જ્યારથી ઘર છોડ્યું છે. મને તમારી વચ્ચે રહેવામાં સુખ મળે છે. સંતોષ મળે છે.તમે જ મારો પરિવાર છો.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે બે તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે અને પરિણામો ૪ મેના જાહેર થવાના છે. આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું, એક તરફ તમને રોજગાર આપતી મિલો બંધ થઈ રહી છે અને બીજી તરફ ગુંડાઓને રોજગાર આપતી કાચા બોમ્બ બનાવતી ફેક્ટરીઓ ફુલીફલી રહી છે. ટીએમસીના સિન્ડિકેટની દુકાનોનો વિસ્તાર થઈ રહ્યો છે. આ ટીએમસીનું મહા-જંગલરાજ છે. ટીએમસી પાસે બંગાળના ભવિષ્ય માટે કોઈ રોડમેપ નથી.

અહીં ટીએમસીના સિન્ડિકેટની ફેક્ટરીઓનો વિસ્તાર થઈ રહ્યો છે. ટીએમસીને હરાવવી જ પડશે. ભાજપ અહીં જનતા જનાર્દનનું રાજ લાવશે. પીએમ મોદીએ કહ્યું કે બંગાળની જનતા હંમેશા દેશભક્તિ અને બલિદાન માટે જાણીતી રહી છે અને આ ધરતીનો ઇતિહાસ પ્રેરણાદાયક રહ્યો છે. તેમણે ઉમેર્યું કે આજની પેઢીએ પણ તે જ જુસ્સા સાથે દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.

ભાષણ દરમિયાન હાજર જનમેદનીએ ભારત માતા કી જયના નારા લગાવીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને પોતાના સંબોધનમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે બંગાળમાં પરિવર્તનની જરૂર છે. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન શાસનમાં વિકાસની ગતિ ધીમી પડી છે અને લોકો યોગ્ય સુવિધાઓથી વંચિત છે.

સાથે જ તેમણે મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી છે. આ રેલીમાં યુવાનો અને મહિલાઓની હાજરી નોંધપાત્ર રહી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ ચૂંટણી બંગાળના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને વિકાસ માટે મજબૂત સરકાર જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.