Western Times News

Gujarati News

પ્રિયંકા મીરા નાયરની અમૃતા શૅરગિલની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે

મુંબઈ, અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ જાણીતાં ફિલ્મમેકર મીરા નાયરની આવનારી બાયોપિક અમરી માટે એક કેમિયો શૂટ કર્યાે હોવાનાં અહેવાલો છે. જે પ્રખ્યાત ચિત્રકાર અમૃતા શૅર-ગિલના જીવન પર આધારિત છે. જોકે આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી હજુ ગુપ્ત રાખવામાં આવી છે, ઇન્ડસ્ટ્રીનાં સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રિયંકા ચોપરાનો રોલ નાનો પરંતુ મહત્વપૂર્ણ હોઈ શકે છે.

આ અંગેના અહેવાલો અનુસાર, પ્રિયંકા તાજેતરમાં ભારતમાં હતી અને બીજાં કેટલાંક કામ પૂર્ણ કર્યા બાદ તેણે આ ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું. સુત્રએ જણાવ્યું, “ફિલ્મનો ઉદ્દેશ ચિત્રકારના જીવનને હંગેરી, ભારત અને ફ્રાન્સમાં રજૂ કરવાનો છે. એક ખાસ ભાગ માટે મીરાએ ગયા વર્ષે પ્રિયંકાનો સંપર્ક કર્યાે હતો અને તેણે ગયા અઠવાડિયે શૂટિંગ કર્યું હતું. પ્રિયાંકા હૈદરાબાદમાં ‘વારાણસી’ માટે કેટલાક કામ પૂરા કરવા માટે આવી હતી.

ત્યારબાદ તે અમૃતસર ગઈ અને બે દિવસ સુધી શૂટિંગ કર્યું હતું.” આ અહેવાલો પછી ફેન્સમાં ઉત્સુકતા વધી ગઈ છે, તેની પાછળ ખાસ કારણ એ પણ છે કે આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપરા અને મીરા નાયર પહેલી વખત સાથે કામ કરશે. બંને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતાં નામો છે, જેમણે ભારતીય અને વૈશ્વિક મનોરંજન ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવી છે.

અમૃતા શૅરગિલની મુખ્ય ભૂમિકામાં અભિનેત્રી તાન્યા મનિકતલાને લેવામાં આવી હોવાના અહેવાલો છે. મીરા નાયરે અગાઉ ૨૦૨૦ની બીબીસી ડ્રામા સિરીઝ એ સુટેબલ બોયમાં તાન્યા સાથે કામ કર્યું હતું, જેમાં તેનો અભિનય વખણાયો હતો.

અમરી ફિલ્મ અમૃતા શૅરગિલના અસાધારણ જીવનને રજૂ કરશે એવી અપેક્ષા છે, જેને ૨૦મી સદીના પ્રારંભિક સમયના સૌથી પ્રભાવશાળી આધુનિક કલાકારોમાં ગણવામાં આવે છે.

હંગેરીયન માતા અને શીખ પિતાના સંતાન તરીકે જન્મેલાં અમૃતા શૅરગિલનું જીવન યુરોપ અને ભારત વચ્ચે પસાર થયું હતું, જેનાથી તેમની અનોખી કલાત્મક શૈલી વિકસિત થઈ—જેમાં પશ્ચિમી ટેકનિક અને ભારતીય વિષયોનું સંયોજન જોવા મળે છે. જોકે તેમનું જીવન દુર્ભાગ્યવશ ૧૯૪૧માં માત્ર ૨૮ વર્ષની વયે સમાપ્ત થયું, તેમ છતાં તેમનું કાર્ય આજે પણ અનેક કલાકારોને પ્રેરણા આપે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.