Western Times News

Gujarati News

કેનેડામાં કપિલ શર્માના કેફે પાસે ચોથી વાર થયું ફાયરિંગ

મુંબઈ, ભારતના પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા ફરી એકવાર ચર્ચામાં છે. કેનેડાના સરેમાં આવેલા તેમના ‘કેપ્સ કાફે’ની નજીક સ્થિત એક રેસ્ટોરન્ટ પર ગોળીબારની ઘટના બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવાઓ મુજબ, આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે અને કપિલ શર્માને સીધી રીતે જાનથી મારી નાખવાની ધમકી આપી છે.સોશિયલ મીડિયા પર ‘ટાયસન બિશ્નોઈ જોરા સિદ્ધુ’ નામના ફેસબુક એકાઉન્ટ પરથી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગોળીબાર સરેના ‘ચાય સુટ્ટા બાર’ પર કરવામાં આવ્યો હતો, જે કપિલ શર્માના કાફેની બિલકુલ બાજુમાં આવેલું છે.ગેંગે આ પોસ્ટ દ્વારા કપિલ શર્મા અને કાફેના માલિકને ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ તેમનો સમય બગાડે નહીં અને સીધી રીતે વાત માની લે.

પોસ્ટમાં આગળ એવો પણ સંકેત આપવામાં આવ્યો છે કે જો તેઓ તેમની શરતો નહીં માને, તો કપિલ શર્માના કાફે અને મુંબઈ સ્થિત તેમના ઘરને પણ આ જ પ્રકારનું પરિણામ ભોગવવું પડી શકે છે.

જોકે, આ સોશિયલ મીડિયા દાવાઓની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.ગેંગના દાવા મુજબ, કપિલ શર્માને નિશાન બનાવવાનું મુખ્ય કારણ તેમનો અભિનેતા સલમાન ખાન સાથેનો સંબંધ છે. એવું કહેવામાં આવે છે કે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ના લોન્ચ પર સલમાન ખાનને આમંત્રિત કરવાથી બિશ્નોઈ ગેંગ નારાજ થઈ ગઈ હતી.

ગેંગના એક સભ્યએ અગાઉ પણ ચેતવણી આપી હતી કે જે કોઈ પણ સલમાન ખાન સાથે કામ કરશે, તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે.લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને સલમાન ખાન વચ્ચેની દુશ્મની ૧૯૯૮ ના કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલી છે. બિશ્નોઈ સમુદાય કાળિયારને પવિત્ર માને છે અને આ જ કારણે આ ગેંગ છેલ્લા ઘણા વર્ષાેથી સલમાન ખાન અને તેમના નજીકના લોકોને ધમકીઓ આપી રહી છે.

અગાઉ પોતાની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરૂં ૨’ ના ટ્રેલર લોન્ચ દરમિયાન કપિલ શર્માએ આ હુમલાઓ પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને એવું લાગે છે કે કેનેડાના કાયદા અને પોલીસ કદાચ આવી ઘટનાઓને રોકવામાં સક્ષમ નથી. આ હુમલાઓ બાદ મુંબઈ પોલીસે સુરક્ષાના કારણોસર ભારતમાં કપિલ શર્માની સુરક્ષા પણ વધારી દીધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.