Western Times News

Gujarati News

શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ બંગાળમાં 75 વર્ષ પછી BJPનું સપનું સાકાર થયું

બંગાળમાં ૭૫ વર્ષ બાદ ભાજપનું પિતૃઋણ અદા! -શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર પહેલીવાર ભગવો લહેરાયો

ઈતિહાસ સાક્ષી છે કે જનસંઘ (હવે ભાજપ)નો જન્મ બંગાળના ગર્ભમાંથી થયો હતો

(એજન્સી)કોલકાતા, પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો ઈતિહાસ લખાયો છે. હુગલીની લહેરોથી લઈને દાર્જિલિંગની પહાડીઓ સુધી જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે, જે દર્શાવે છે કે બંગાળનો રાજકીય મિજાજ બદલાઈ ગયો છે. આ દિવસની રાહ ભાજપના નેતાઓ અને કાર્યકરો દાયકાઓથી જોઈ રહ્યા હતા.

ભાજપ માટે બંગાળ વિધાનસભા ચૂંટણીની જીત માત્ર એક જીત નથી, પરંતુ તે પિતૃઋણની ચુકવણી પણ છે, જે ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી પ્રત્યે આ વિચારધારાના દરેક કાર્યકર પર ઉધાર હતી તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. ભાજપના પિતામહ ગણાતા શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર પ્રથમ વખત પૂર્ણ બહુમતી સાથે કમળ ખીલ્યું છે.

ભાજપના સ્થાપક દીનદયાલ ઉપાધ્યાયના કર્તવ્ય પથ ઉત્તરાખંડથી ઉત્તર પ્રદેશમાં તો પહેલા જ સરકાર બની ગઈ હતી, પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ બંગાળમાં ૭૫ વર્ષ પછી આ સપનું સાકાર થયું છે. મુખર્જીના વિચારોના આધારે જ ભાજપનો પાયો નખાયો હતો. આવી સ્થિતિમાં શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર ભાજપ એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણીના વલણોમાં રાજ્યમાં ભાજપ બહુમતી કરતાં વધુ બેઠકો મેળવતી જણાય છે. ભાજપ ૧૯૦થી વધુ બેઠકો જીતતી દેખાઈ રહી છે, જ્યારે ્‌સ્ઝ્ર ૧૦૦થી ઓછી બેઠકો પર સમેટાઈ રહી હોય તેમ લાગે છે. આવી સ્થિતિમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસની ૧૫ વર્ષ જૂની મમતા સરકારની સત્તામાંથી વિદાય દેખાઈ રહી છે. મમતા બેનર્જીની પાર્ટીનો પતન સ્પષ્ટ દેખાય છે. બંગાળમાં ભાજપની આ જીત માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ એક ઊંડો વૈચારિક વિજય છે. ૨૦૨૬ના પરિણામોએ સાબિત કરી દીધું છે કે બંગાળની જનતાએ તે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સ્વીકારી લીધો છે, જેનો પાયો ડૉ. મુખર્જીએ નાખ્યો હતો.

શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારોના આધારે જ ૧૯૮૦માં ભાજપનો પાયો નખાયો હતો. આ જ કારણ છે કે શ્યામા પ્રસાદ મુખર્જીને ભાજપના પિતામહ કહેવામાં આવે છે, જેમનું સપનું હવે સાકાર થયું છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ સૂત્ર આપ્યું હતું કે, એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી, ભાજપ માટે બંગાળ જીતવું એ વૈચારિક ચક્ર પૂર્ણ કરવા સમાન હતું.

મમતા બેનર્જીની મા, માટી, માનુષના રાજકારણના જવાબમાં ભાજપે સૌનો સાથ, સૌનો વિકાસ અને સભ્યતાની સુરક્ષાનો જે નેરેટિવ રજૂ કર્યો, તેણે બંગાળના મધ્યમ વર્ગ અને ગ્રામીણ વસ્તીના મોટા હિસ્સાને હચમચાવી દીધો. બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન નાના કાર્યકર્તાઓથી માંડીને ઁસ્ મોદી સુધીના નેતાઓ જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું પૂરું કરવાનું વચન આપતા રહ્યા હતા, જે તેમણે સાકાર કરીને બતાવ્યું.

શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ ૧૯૦૧માં કોલકાતાના બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે તેમની રાજકીય સફરની શરૂઆત ૧૯૨૯થી કરી અને કોંગ્રેસ સાથે જોડાયા. જો કે, એક વર્ષ પછી જ તેમણે કોંગ્રેસ છોડી દીધી. ૧૯૩૯માં તેઓ હિંદુ મહાસભામાં જોડાયા અને ૧૯૪૦માં હિંદુ મહાસભાના પ્રમુખ બન્યા. તેઓ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહ્યા હતા.

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તેમની ક્ષમતા જોઈને મુખર્જીને પોતાના મંત્રીમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી બનાવ્યા હતા, પરંતુ તેઓ લાંબો સમય સાથે રહ્યા નહીં. નેહરુ કેબિનેટમાંથી રાજીનામું આપીને વર્ષ ૧૯૫૧માં શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની રચના કરી, આ તે જ ભારતીય જનસંઘ છે જેના વૈચારિક એજન્ડા પર ભાજપની રચના થઈ હતી.

ઈતિહાસ સાક્ષી છે કે જનસંઘ (હવે ભાજપ)નો જન્મ બંગાળના ગર્ભમાંથી થયો હતો, પરંતુ રાજકીય વિડંબના એ હતી કે દાયકાઓ સુધી આ પક્ષ પોતાની જ જન્મભૂમિ પર બહારનો ગણાતો રહ્યો. જનસંઘથી લઈને ભાજપ સુધી, બંગાળની જમીન ૭૫ વર્ષ સુધી રાજકીય રીતે વેરાન રહી હતી. ડાબેરીઓના ૩૪ વર્ષ અને તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષોએ ભાજપની શક્તિ સીમિત બનાવીને રાખી હતી.

આઝાદી પછી પહેલીવાર બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ એપ્રિલે પશ્ચિમ બંગાળના બેરકપુરમાં વિજય સંકલ્પ સભા દરમિયાન રાજકીય માહોલ જોઈને કહ્યું હતું કે શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ નાબૂદ કરીને ભાજપે શ્યામા પ્રસાદ મુખર્જીના સંકલ્પોમાંથી એક પૂર્ણ કર્યો છે.

બંગાળમાં નવી ભાજપ સરકાર શ્યામા પ્રસાદ મુખર્જીના રાજ્યની સમૃદ્ધિના સપનાને પૂર્ણ કરશે અને ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દાનો ઉકેલ લાવશે. બંગાળમાં હવે ભાજપ બહુમતીનો આંકડો (૧૪૮) પાર કરીને ૧૯૦ થી વધુ બેઠકો જીતી રહી છે, ત્યારે આ ડૉ. મુખર્જીના એ વિઝનની જીત છે જેમાં તેમણે એક અખંડ અને સાંસ્કૃતિક રીતે મજબૂત ભારતની કલ્પના કરી હતી.

પક્ષના નેતૃત્વએ આ ચૂંટણી અંતિમ યુદ્ધની જેમ લડી હતી. પીએમ મોદીની રેલીઓથી લઈને બૂથ સ્તર સુધી પ્રવાસ કરનારા કાર્યકરોએ બંગાળને એ સમજાવવામાં સફળતા મેળવી કે ભાજપ બહારનો પક્ષ નથી, પરંતુ બંગાળની અસલી માટીનો પક્ષ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.