Western Times News

Gujarati News

ધોરણ ૧૨માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ફાંસો ખાઈ આપઘાત

(એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨નું પરિણામ જાહેર થયા બાદ એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શહેરના નારોલ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિનીએ પરીક્ષામાં અપેક્ષા કરતા ઓછા ટકા આવવાના કારણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.

મળતી વિગતો અનુસાર, નારોલના ગંગોત્રી નગર વિસ્તારમાં આવેલા ઉમંગ ફ્‌લેટમાં આ દુઃખદ ઘટના બની હતી. ચોથી મે સાંજે પાંચથી છ વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરે આપઘાત કરી લીધો હતો.

ધોરણ ૧૨ની પરીક્ષામાં ઓછું પરિણામ આવતા વિદ્યાર્થિની માનસિક રીતે ભાંગી પડી હતી. જોકે, વિદ્યાર્થિનીના પિતાએ તેને પરિણામ બાબતે કોઈ ઠપકો આપ્યો ન હતો કે કશું કહ્યું ન હતું. તેમ છતાં, ઓછા ટકા આવવાથી તેને મનમાં જ લાગી આવ્યું હતું અને તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.

પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક તેજસ્વી કારકિર્દીના ઉંબરે ઉભેલી યુવતીના આવા પગલાથી સમગ્ર વિસ્તારમાં અને શિક્ષણ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગત ચોથી મેના રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩૩% અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧% પરિણામ નોંધાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.