ઓપરેશન ‘અમાનત’ થી ‘જીવન રક્ષા’ સુધી: સુરક્ષાના મોરચે RPF અમદાવાદનું ઉત્તમ પ્રદર્શન
સુરક્ષા, સેવા અને સમર્પણ: RPF અમદાવાદ મંડળની વર્ષ 2025-26ની નોંધપાત્ર સિદ્ધિઓ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું રેલવે સુરક્ષા દળ (RPF) મુસાફરોની સુરક્ષા, રેલવે સંપત્તિની રક્ષા તથા સ્ટેશનો પર સુરક્ષિત વાતાવરણ જાળવવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરી રહ્યું છે। અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા દળ (RPF) એ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સુરક્ષા, ગુનાઓ પર નિયંત્રણ, મુસાફર સહાયતા તથા માનવતાવાદી સેવાઓના ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરીને અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.
રેલવે સુરક્ષા દળે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, રેલવે સંપત્તિની રક્ષા કરવા તથા રેલવે પરિસરોમાં ગુનાઓ પર અસરકારક નિયંત્રણ જાળવવા માટે સતત સતર્કતા અને સક્રિયતા સાથે કામગીરી કરી છે. સાથે જ RPF કર્મચારીઓએ માનવતાની ભાવના દર્શાવતા જરૂરિયાતમંદ મુસાફરો, બાળકો તથા મહિલાઓને સહાય કરીને પોતાની સામાજિક જવાબદારીનું પણ સફળતાપૂર્વક નિર્વહન કર્યું છે
· રેલવે અધિનિયમ હેઠળ અસરકારક કાર્યવાહી
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન RPF અમદાવાદ મંડળ દ્વારા રેલવે અધિનિયમની વિવિધ કલમો હેઠળ કુલ 29,276 કેસ નોંધવામાં આવ્યા હતા. આ કેસોમાં અસરકારક કાર્યવાહી કરતાં ₹40 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી રેલવે પરિસરોમાં શિસ્ત જાળવવા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા તથા મુસાફરોમાં નિયમો પ્રત્યે જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે
· ઓપરેશન અમાનત હેઠળ મુસાફરોને પરત અપાયો ખોવાયેલો સામાન
ઓપરેશન અમાનત હેઠળ મુસાફરોને પરત અપાયો ખોવાયેલો સામાન
મુસાફરો દ્વારા રેલવે સ્ટેશન અથવા ટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલા અથવા ખોવાયેલા સામાનને શોધીને તેના વાસ્તવિક માલિક સુધી પહોંચાડવાના હેતુથી ચલાવવામાં આવતા “ઓપરેશન અમાનત” હેઠળ RPF અમદાવાદ મંડળે નોંધપાત્ર સફળતા મેળવી છે. આ દરમિયાન ₹1,58,51,286/- કિંમતના 462 લાવારિસ અથવા ખોવાયેલા સામાનની પુનઃપ્રાપ્તિ કરવામાં આવી હતી અને જરૂરી ચકાસણી બાદ તે તેમના વાસ્તવિક માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા
· ઓપરેશન નન્હે ફરિશ્તે: માનવતાવાદી સેવાનું ઉત્તમ ઉદાહરણ
RPF દ્વારા ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન નન્હે ફરિશ્તે” હેઠળ રેલવે સ્ટેશન તથા ટ્રેનોમાં ભટકી ગયેલા, ગુમ થયેલા અથવા અસહાય બાળકો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને સહાય આપવામાં આવી હતી. આ અભિયાન હેઠળ 121 બાળકો તેમજ 23 પુરુષો અને મહિલાઓને સુરક્ષિત રીતે બચાવી તેમના પરિવારજનો, ચાઇલ્ડ લાઇન અથવા સંબંધિત પોલીસ અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.
· ઓપરેશન રેલ સુરક્ષા હેઠળ મોટી સફળતા
રેલવે સંપત્તિ (ગેરકાયદેસર કબજો) અધિનિયમ [RP(UP) Act] હેઠળ નોંધાયેલા 49 કેસોમાંથી 46 કેસોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ કેસોમાં રેલવે સંપત્તિની ચોરી, ગેરકાયદેસર કબજો તથા તસ્કરી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 114 બાહ્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી। RPFની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી રેલવે સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત થઈ તેમજ સંગઠિત ગુનાઓ પર અસરકારક નિયંત્રણ મૂકી શકાયું હતું
· ઓપરેશન યાત્રી સુરક્ષા દ્વારા ગુનેગારો પર કડક કાર્યવાહી
મુસાફરોના સામાનની ચોરી (TOPB) સંબંધિત 49 આરોપીઓની ધરપકડ કરીને તેમને GRPને સોંપવામાં આવ્યા હતા. ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ 73 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાનૂની કાર્યવાહી માટે GRPને હવાલે કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા ગુનેગારોમાં ભયનું વાતાવરણ ઉભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી
· UTI કેસોમાં નોંધપાત્ર ઘટાડો
RPF અમદાવાદ મંડળ દ્વારા ચલાવવામાં આવેલા વિશેષ જાગૃતિ અભિયાન અને નિયમિત તપાસ અભિયાનના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25ની તુલનામાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આકસ્મિક ઘટના (UTI)ના કેસોમાં 33 ટકા ઘટાડો નોંધાયો છે
· ઓપરેશન સતર્ક હેઠળ ગેરકાયદેસર દારૂની તસ્કરી વિરુદ્ધ કાર્યવાહી
ગેરકાયદેસર દારૂની તસ્કરી અને પરિવહન વિરુદ્ધ ચલાવવામાં આવેલા “ઓપરેશન સતર્ક” હેઠળ 125 કેસોનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. આ કેસોમાં ₹12,90,963/- કિંમતનો ગેરકાયદેસર દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ 102 વ્યક્તિઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે GRPને સોંપવામાં આવ્યા હતા. આ કાર્યવાહી મુખ્યત્વે અમદાવાદ, સાબરમતી અને કાંકરિયા યાર્ડ સ્ટેશનો પર કરવામાં આવી હતી. RPFની આ કાર્યવાહીથી રેલવે માર્ગો મારફતે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ સ્થાપિત થયું છે
· ઓપરેશન નાર્કોસ હેઠળ નશીલા પદાર્થોની તસ્કરી પર રોક
RPF અમદાવાદ મંડળે નશીલા પદાર્થોની તસ્કરી વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરતાં “ઓપરેશન નાર્કોસ” હેઠળ 4 કેસોનો ભેદ ઉકેલ્યો હતો। આ કેસોમાં ₹4,35,310/- કિંમતના નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ 2 તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી રેલવે પરિસરોને નશામુક્ત અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે
· ઓપરેશન જીવન રક્ષા હેઠળ બચાવવામાં આવેલા જીવો
RPF કર્મચારીઓએ સતર્કતા અને ત્વરિત પ્રતિસાદનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં પ્લેટફોર્મ ગેપ, ચાલતી ટ્રેન અથવા અન્ય અકસ્માતજન્ય પરિસ્થિતિમાં ફસાયેલા 11 પુરુષો અને મહિલાઓના જીવ બચાવ્યા હતા. “ઓપરેશન જીવન રક્ષા” હેઠળ કરવામાં આવેલા આ સાહસિક કાર્યો RPFની તત્પરતા તેમજ માનવ જીવન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે
· રેલ મદદ ફરિયાદોનું ત્વરિત નિરાકરણ
રેલ મદદ (Rail Madad) પોર્ટલ પર નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સુરક્ષા સંબંધિત કુલ 1,918 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. RPF અમદાવાદ મંડળ દ્વારા તમામ ફરિયાદોનું 100 ટકા નિરાકરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. ફરિયાદોના નિરાકરણનો સરેરાશ સમય માત્ર 6 મિનિટ રહ્યો હતો, જે RPFની ત્વરિત કાર્યશૈલી અને કાર્યક્ષમતાને દર્શાવે છે. નોંધનીય છે કે 92.85 ટકા મુસાફરોએ RPF દ્વારા આપવામાં આવેલી સહાય અને કાર્યવાહી ને ઉત્તમ અથવા સંતોષકારક ગણાવી હતી
· વોરંટ અમલીકરણમાં ઉત્તમ પ્રદર્શન
RA અને RP(UP) Act સંબંધિત જારી કરાયેલા 113 વોરંટમાંથી 95 વોરંટનું સફળ અમલીકરણ RPF અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ ગુનેગારો વિરુદ્ધ અસરકારક કાનૂની કાર્યવાહી તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રત્યે RPFની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
RPF અમદાવાદ મંડળની આ ઉપલબ્ધિઓ દર્શાવે છે કે રેલવે સુરક્ષા દળ માત્ર મુસાફરો અને રેલવે સંપત્તિની સુરક્ષા માટે જ પ્રતિબદ્ધ નથી, પરંતુ માનવતાવાદી સેવા, ત્વરિત સહાય અને સામાજિક જવાબદારીના ક્ષેત્રમાં પણ ઉત્તમ કાર્ય કરી રહ્યું છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે RPF ભવિષ્યમાં પણ આ જ રીતે સતર્કતા અને સમર્પણ સાથે કાર્ય કરતી રહેશે.
