Western Times News

Gujarati News

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોનાં રસોઈ ગેસમાં આત્મનિર્ભરનાં મંડાણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યુ હતું કેસ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોનાં ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં 665 બાયોગેસ પ્લાન્ટ સ્થપાઇ ચૂક્યા છે.

Ahmedabad,      વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU)ની આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારો રસોઇ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 1000 આદિવાસી પરિવારોને બાયોગેસ પ્લાન્ટ મળે તે માટે કરેલી મહેનત હવે રંગ લાવી રહી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યુ હતું કેસ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

આ યોજના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલમાં મુકવામાં આવેલી આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા મોનિટરીંગ થઇ રહ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત આ પહેલનો હેતુ LPG અને પરંપરાગત લાકડાના ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે 7 કિમી દૂર આવેલા વાઘપુરા ગામમાં રહેતા રવિના તડવીએ જણાવ્યું કેસરકાર દ્વારા સ્થાપવામાં આવેલા બાયોગેસ પ્લાન્ટને કારણે તેમના દૈનિક જીવનમાં ઘણો ફેરફાર થયો છે.

હવે અમને LPG સિલિન્ડરની ચિંતા રહેતી નથી. બાયોગેસ પ્લાન્ટ દ્વારા  દરરોજ સ્વચ્છ ઇંધણ મળે છે અને બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉત્તમ વિકલ્પ બની છે. જૈવિક ખાતરને કારણે પાક ઉત્પાદન પણ વધે છે,” રવિના તડવીએ વધુમાં જણાવ્યું.

આ જ પ્રકારની લાગણી વ્યક્ત કરતાં સ્થાનિક રહેવાસી ચંદુ તડવીએ યોજનાનો મહિલાઓ પર પડેલા સકારાત્મક પ્રભાવ વિશે જણાવ્યું કે, “બાયોગેસ પ્લાન્ટને કારણે મહિલાઓને સૌથી વધુ લાભ થયો છે. પહેલાં તેઓ ખેતરમાં કામ કર્યા પછી લાકડાં ભેગા કરવા માટે લાંબા અંતર સુધી જતી હતી. ચૂલા પર રસોઇ કરવાને કારણે ધૂમાડો થતો અને આંખોને નુકશાન થતું પણ હવે બાયોગેસના ઉપયોગથી તેઓ ધુમાડાથી મુક્ત થઈ ગઈ છે અને રસોઈ ગેસમાં આત્મનિર્ભર બની છે,”.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં રાજ્યનાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા મળે તે માટેની યોજનાઓને ત્વરિત અમલ થઇ રહ્યો છે. ગુજરાતમાં વૈકલ્પિક ઉર્જા માટે માતબર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

 

અત્યાર સુંધીમાં 665 થી વધુ બાયોગેસ પ્લાન્ટ નંખાઇ ચૂક્યા છે અને બાકીનાં પ્લાન્ટ નાંખવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. આ પ્લાન્ટ સ્થાપવામાં માટેનો તમામ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવે છે. લાભાર્થીએ પ્લાન્ટ માટે જરૂરી ખાડો ખોદવા માટે શ્રમદાન કરવાનું રહે છે.

બાયોગેસ પ્લાન્ટ થકી મહિલાઓને સ્વચ્છ રસોઇ ગેસ મળે છે અને સાથે સાથે પ્લાન્ટમાંથી મળતી સ્લરીનો ખાતર તરીકે ખેતીમાં ઉપયોગ થતા વિદેશથી આયાત થતા રાસાયણિક ખાતર પરની નિર્ભરતા પણ ઓછી થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.