Western Times News

Gujarati News

ફાયરિંગ કરનાર નિવૃત્ત ડી.વાય.એસ.પી.ને પોલીસે ધક્કા મારી લોકઅપમાં પુર્યાં

લોકઅપમાં જતા પહેલા અશોકસિંહે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, ‘પોલીસે જ સાઠગાંઠ કરીને મારી માલિકીની જમીનમાં ગુંડાઓને ઘૂસાડ્યા છે.’ જે જમીનને લઈને આ આખો ખેલ ખેલાયો તે કોઈ નાની-સૂની જગ્યા નથી.

અમદાવાદ, અમદાવાદના પોશ ગણાતા નહેરૂનગર વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં થયેલા ફાયરિંગના મામલે આજે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ૨૭ મે થયેલા ફાયરિંગ કેસમાં આજે જ્યારે પોલીસ નિવૃત્ત ડી.વાય.એસ.પી. અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરવા ગઈ ત્યારે તેમનો રોફ જોવા મળ્યો હતો.

જોકે, કાયદાના સકંજામાં આવેલા નિવૃત્ત અધિકારીનો પાવર પોલીસે ક્ષણભરમાં ઉતારી દીધો હતો અને બે પોલીસ કોન્સ્ટેબલે તેમને ધક્કા મારીને લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસે આ મામલે નિવૃત્ત ડી.વાય.એસ.પી. ઉપરાંત તેમના દીકરા અને દીકરીની પણ ધરપકડ કરી લીધી છે.

લોકઅપમાં જતા પહેલા અશોકસિંહે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, ‘પોલીસે જ સાઠગાંઠ કરીને મારી માલિકીની જમીનમાં ગુંડાઓને ઘૂસાડ્યા છે.’ જે જમીનને લઈને આ આખો ખેલ ખેલાયો તે કોઈ નાની-સૂની જગ્યા નથી.

નહેરૂનગર વિસ્તારમાં આવેલી આ આશરે ૫ વીઘા જમીનની બજાર કિંમત અંદાજે કરોડો જેટલી આંકવામાં આવી રહી છે. આ કિંમતી જમીન પર માલિકી હક મેળવવા માટે નિવૃત્ત ડી.વાય.એસ.પી. અશોકસિંહ ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે લાંબા સમયથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

આરોપી પક્ષના દાવા અનુસાર, અશોકસિંહના વડવાઓ વર્ષોથી આ જમીનની રખેવાળી કરતા હતા અને તે દરમિયાન જ તેઓ આ જગ્યાનો કબજો ધરાવતા હતા.
સમગ્ર ઘટના બાદ નિવૃત્ત ડી.વાય.એસ.પી.ના પરિવારે મીડિયા સામે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમની દીકરીએ રડમસ અવાજે આક્ષેપ કર્યો કે, આ સમગ્ર મામલામાં માત્ર ‘વન સાઇડેડ સ્ટોરી’ ચલાવવામાં આવી રહી છે.

જ્યારે તે મીડિયા સમક્ષ બોલી રહી હતી ત્યારે જ પોલીસ કર્મચારીઓ તેને અટકાવીને લોકઅપ તરફ ખેંચી ગયા હતા. આ દરમિયાન જેલના સળિયા પાછળ ધકેલાયેલા અશોકસિંહના દીકરાએ પણ હિન્દીમાં બૂમો પાડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, અમારા ઘરમાં ગુંડાઓ ઘૂસી ગયા હતા, અમે જે કંઈ પણ કર્યું તે માત્ર ‘સેલ્ફ ડિફેન્સ’માં કર્યું છે.છતાં પોલીસે તેમની એક પણ વાત સાંભળ્યા વિના તમામને જેલભેગા કરી દીધા હતા.

આ મામલે વિગતો આપતા છઝ્રઁ એસ. એમ. પટેલે જણાવ્યું હતું કે નિવૃત ડી.વાય.એસ.પી. અશોક ચૌહાણ પાસે આ જગ્યાનો કબજો હતો. તેમણે એક સમજૂતી કરાર કરીને નહેરુનગર પાથરણા બજારમાં સ્ટોલ બનાવવા માટે આ જગ્યા અમિત પટેલ નામના વ્યક્તિને ભાડે આપી હતી.

અમિત પટેલે ત્યાં સ્ટોલ ઉભા પણ કરી દીધા હતા, પરંતુ થોડા સમય બાદ છસ્ઝ્ર દ્વારા ત્યાં નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ અમિત પટેલે આ જમીનના અસલી દસ્તાવેજો અને આધાર-પુરાવા અશોકસિંહ પાસે માંગ્યા હતા, પરંતુ નિવૃત્ત પોલીસ અધિકારી પાસે જમીન માલિકીના કોઈ સચોટ પુરાવા નહોતા.

જ્યારે પુરાવા ન મળ્યા ત્યારે અમિત પટેલે અશોકસિંહ પાસે પોતાની ડિપોઝિટની રકમ અને સ્ટોલ બનાવવામાં થયેલો ખર્ચ પરત માંગ્યો હતો. આ નાણાકીય લેતીદેતીના સમાધાન માટે ગઈકાલે બંને પક્ષો સામસામે ભેગા થયા હતા. આ દરમિયાન વાત વણસી ગઈ હતી અને ઉશ્કેરાયેલા અશોક ચૌહાણે પોતાની લાયસન્સવાળી ગન કાઢીને અમિત પટેલ પર ફાયરિંગ કરી દીધું હતું, જેમાં અમિત પટેલનો આબાદ બચાવ થયો હતો.

ભોગ બનનાર અમિત પટેલે આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં અશોકસિંહ ચૌહાણ (નિવૃત્ત ડી.વાય.એસ.પી. ), ખ્યાતિ ચૌહાણ (દીકરી), સિદ્ધરાજસિંહ ચૌહાણ (દીકરો) અને ૧૪ વર્ષનો સગીર દીકરો. આ ચારેય સામે હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં સગીર સિવાયના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.