ઓપરેશન સિંદૂર ૨.૦: પાકિસ્તાન પર ત્રણેય દળ સાથે મળીને ત્રિપાંખીયો હુમલો કરવાની રણનીતિ બનાવી રહ્યુ છે
નવી દિલ્હી, આર્મી ચીફે દ્વિવેદીએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે આરપારની લડાઈનું રણશિંગું ફૂંકતા સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે કે ભારત હવે ઓપરેશન સિંદૂર ૨.૦ માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ચૂકયું છે.
ન્યૂઝ એજન્સી ANI સાથેની ખાસ વાતચીતમાં આર્મી ચીફે પાકિસ્તાનનું સીધું નામ લીધા વિના ગર્જના કરી હતી કે, સરહદ પર દેખાતી વર્તમાન શાંતિને દુશ્મન દેશ ભૂલથી પણ ભારતની નબળાઈ ન સમજે, આ માત્ર તોફાન પહેલાની શાંતિ અથવા તો દુશ્મનાવટમાં એક કામચલાઉ વિરામ છે. કાશ્મીરના પવિત્ર પહેલગામની બૈસરન ખીણમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ ભારતનું જે આક્રમક વલણ હતું, તે આજે પણ યથાવત છે અને સેના કોઈપણ ક્ષણે બીજા મોટા સૈન્ય પ્રહાર માટે તૈયાર છે.
All Three services preparing well for Op Sindoor 2.0 if it takes places: COAS General Upendra Dwivedi.
All Three services preparing well for Op Sindoor 2.0 if it takes places: COAS General Upendra Dwivedi. pic.twitter.com/pqtmJZBjhE
— Sashanka Chakraborty (@SashankGuw) May 30, 2026
આ વખતે ભારતીય સેના માત્ર એકલી નહીં, પરંતુ વાયુસેના અને નૌકાદળ સાથે મળીને ત્રિપાંખીયો હુમલો કરવાની રણનીતિ બનાવી રહી છે. જનરલ દ્વિવેદીએ ત્રણેય સંરક્ષણ સેવાઓ વચ્ચેના અતૂટ સંકલન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આધુનિક યુદ્ધક્ષેત્ર હવે અત્યંત પારદર્શક બની ગયું છે જ્યાં સેટેલાઇટ અને ટેકનોલોજીના કારણે દરેક હિલચાલ પર નજર રાખવામાં આવે છે,
તેથી ભારતીય સૈનિકો અને સરહદી નાગરિકોની સુરક્ષા કાજે આપણી સજ્જતા ૨૪ કલાક અને સાતેય દિવસ હાઈ-એલર્ટ પર છે. જો સરહદ પારથી જરા પણ નાપાક હરકત થઈ, તો ત્રણેય પાંખ મળીને પાકિસ્તાનને એવો સબક શીખવાડશે જે ઇતિહાસમાં કયારેય જોયો નહીં હોય.
ઉલ્લેખનીય છે કે, ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહેલગામમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ૨૬ નિર્દોષ લોકોના લોહી વહાવ્યા હતા, જેના સણસણતા જવાબ તરીકે ભારતે ૭-૮ મે ૨૦૨૫ની રાત્રે પાકિસ્તાન સરહદે સર્જિકલ સ્ટ્રાઈક જેવું જ પ્રચંડ ઓપરેશન સિંદૂર પાર પાડી દુશ્મનોના કેમ્પ તબાહ કર્યા હતા.
હવે તેના બીજા ચરણ એટલે કે ઓપરેશન સિંદૂર ૨.૦ ની વાત કરતા આર્મી ચીફે દેશવાસીઓને ઇન્ફોર્મેશન વોરફેર એટલે કે માહિતીના યુદ્ધમાં પણ એકજૂથ રહેવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યારે આખું રાષ્ટ્ર સૈન્યની સત્તાવાર માહિતી પર અડગ વિશ્વાસ રાખીને એક રાષ્ટ્રવાદના તાંતણે બંધાય છે, ત્યારે દુનિયાની કોઈ તાકાત ભારતને યુદ્ધ જીતતા રોકી શકતી નથી.
