કરોડોના મ્યૂલ એકાઉન્ટ કૌભાંડમાં આરોપીઓ 4 દિવસમાં જ 15 હજારના જામીન પર છૂટી ગયા
અમદાવાદના નિકોલ વિસ્તારમાં દરોડો પાડીને મ્યૂલ બેન્ક એકાઉન્ટ્સ દ્વારા રૂ. ૩૨૪ કરોડથી વધુના કાળા નાણાંની હેરફેરનો પર્દાફાશ કર્યો હતો.
(એજન્સી)અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નાણાકીય લાલચ આપી તેમના નામે ‘મ્યૂલ બેન્ક એકાઉન્ટ’ ખોલાવામાં આવે છે. જેના થકી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાના મસમોટા સાયબર ફ્રોડના ગુનાઓ સતત વધી રહ્યા છે.
અમદાવાદમાં પકડાયેલા આવા જ એક ગંભીર રેકેટમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે ૩ આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ તેઓ ગણતરીના દિવસોમાં જ જામીન પર મુક્ત થઈ જતાં અમદાવાદ મેટ્રો કોર્ટ પરિસરમાં સાયબર ક્રાઈમની તપાસની નબળી કડીઓ અને બેદરકારી અંગે ચર્ચાઓ જાગી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. એચ. ખંભાતીએ ત્રણેય આરોપીઓને રૂ.૧૫,૦૦૦ના શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
View this post on Instagram
કોર્ટે આરોપીઓની જામીન અરજી મંજૂર કરતી વખતે સરકારી તપાસ પદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા કરતું મહત્વનું અવલોકન કર્યું હતું કે, પોલીસ ફરિયાદની હકીકતો જોતાં આ ગુનામાં ભોગ બનનાર (વિક્ટીમ) કોણ છે, તેનો કોઈ જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આરોપીઓ ૭૨ કલાક સુધી પોલીસ કસ્ટડીમાં (રિમાન્ડ પર) હોવા છતાં તેમની પાસેથી ગુના સંદર્ભે કોઈ મહત્વની કે નક્કર હકીકત બહાર લાવી શકાઈ નથી. આ સંજોગોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીઓને વધુ સમય કસ્ટડીમાં રાખવા યોગ્ય ન જણાતા જામીન મુક્ત કર્યા હતા.
આરોપીઓ તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, પોલીસે માત્ર આશંકા અને શક્યતાઓના આધારે જ આરોપીઓની અટકાયત કરી છે. આ ગુનામાં મુખ્ય આરોપી રાજુભાઈ નામની વ્યક્તિ છે. ફરિયાદમાં કોઈ ભોગ બનનારનો ઉલ્લેખ નથી અને રિમાન્ડ દરમિયાન પણ કંઈ વાંધાજનક મળ્યું નથી. વળી, આ ગુનામાં કાયદાકીય જોગવાઈ ૭ વર્ષ સુધીની સજાની જ છે.
આરોપીઓ કોર્ટની તમામ શરતોનું પાલન કરવા તૈયાર હોવાથી તેમને જામીન મળવા પાત્ર છે.શું હતો સમગ્ર મામલો? તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં દરોડો પાડીને મ્યૂલ બેન્ક એકાઉન્ટ્સ દ્વારા રૂ.૩૨૪ કરોડથી વધુના કાળા નાણાંની હેરફેરનો પર્દાફાશ કર્યો હતો.
ત્યારબાદ CID સાયબર ક્રાઈમને બાતમી મળી હતી કે, અમરાઈવાડી વિસ્તારમાં કેટલીક બોગસ ફર્મ (પેઢીઓ) ઊભી કરી અન્ય લોકોના મ્યૂલ એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાની હેરફેરનું રેકેટ ચાલી રહ્યું છે.
