સાયબર ઠગોએ જુદા જુદા ત્રણ બનાવમાં કુલ રૂપિયા ૨.૪૭ લાખ પડાવ્યા
મણિનગર, ઇસનપુર અને કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ઈસનપુરના એક ટેમ્પો ડ્રાઈવરને બેન્ક કેવાયસી કરવાના બહાને એપીકે ફાઈલ મોકલી રૂ.૧.૮૫ લાખ સેરવ્યાં
અમદાવાદ,પૂર્વ અમદાવાદમાં સાયબર ઠગાઈના ત્રણ બનાવમાં ગઠિયાઓએ કુલ રૂ. ૨.૪૭ લાખની ઠગાઈ આચારી છે. જેમાં મણિનગરમાં ક્રેડિટ કાર્ડના રૂપિયા રોકડમાં લેવા જતા વેપારીએ રૂ. ૪૨ હજાર ગુમાવ્યા છે, જ્યારે કાગડાપીઠમાં ફાઇનાન્સ કર્મીએ ઓનલાઇન મોબાઇલ લેવા જતા રૂ. ૨૦ હજાર ગુમાવ્યા છે. ઇસનપુરમાં કેવાયસી અપડેટ કરવાના બહાને ગઠિયાએ આધેડ પાસેથી રૂ. ૧.૮૫ લાખ પડાવ્યા છે. કિસ્સો-૧ઃ મણિનગરમાં રહેતા યુવરાજ પરમાર દવાઓ બનાવવાની કંપની ધરાવી ધંધો કરે છે. ગત ૧૨ જૂને તેઓ કામ પર હતા ત્યારે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ હતી. જેમાં રાધે એન્ટરપ્રાઇઝ નામના પેજમાં ક્રેડિટ કાર્ડના રૂપિયા રોકડમાં આપવાની જાહેરાત હતી. જેથી યુવરાજે આપેલા નંબર પર વોટ્સએપ મેસેજ કર્યાે હતો અને બીજા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા છે તેમ પૂછ્યું હતું.
ત્યારે ગઠિયાએ ૧.૨૦ ટકા કમિશન કાપીને રૂપિયા ટ્રાન્સફર કરી આપશે તેમ જણાવ્યું હતું. બાદમાં યુવરાજે એકાઉન્ટને લગતી તમામ વિગતો અને OTP આપતા ક્રેડિટ કાર્ડમાંથી રૂ. ૪૨ હજાર કપાઈ ગયા પરંતુ બીજા એકાઉન્ટમાં જમા થયા ન હતા. જેથી કોલ અને મેસેજ કરતા કોઈ જવાબ ન આપતા ઠગાઈની જાણ થઈ હતી. આ અંગે યુવરાજે અજાણ્યા ગઠિયા સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.કિસ્સો-૨ઃ ગીતામંદિર પાસે રહેતા નેમી મુધવા ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે. ગત ૧૫ જુલાઈએ તે ઘરે હતા અને મોબાઇલ જોતા હતા ત્યારે OLX પર એપલનો ફોન વેચવાની જાહેરાત આવી હતી. જેથી નેમીએ આપેલા નંબર પર સંપર્ક કરતા ગઠિયાએ પોતે મોબાઇલ લે-વેચનું કામ કરતો હોવાનું જણાવીને મોબાઇલ બુકિંગ અને કુરિયર આપવા આવ્યો છું કહીને કુલ રૂ. ૨૦ હજાર ટુકડે-ટુકડે પડાવી લઈને ફોન બંધ કરી દીધો હતો.
આ અંગે કાગડાપીઠ પોલીસે ગઠિયા સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.કિસ્સો-૩ઃ ઇસનપુરમાં રહેતા ૫૭ વર્ષીય મહેન્દ્રસિંહ રાજપૂત ટેમ્પો ચલાવે છે. ગત ૨૨ જુલાઈએ અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે બેન્કમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં ગઠિયાએ તમારા બેન્ક એકાઉન્ટમાં KYC કરાવવું પડશે નહીં તો એકાઉન્ટ બંધ થઈ જશે તેમ કહ્યું હતું. જે બાદ ગઠિયાએ વોટ્સએપમાં APK ફાઇલ મોકલીને મહેન્દ્રસિંહ સાથે ચાલુ ફોનમાં વિગતો ભરાવી હતી જે બાદ મહેન્દ્રસિંહને કામ આવતા ફોન કાપી નાખ્યો હતો. જે બાદ તેમના એકાઉન્ટમાંથી કુલ રૂ. ૧.૮૫ લાખ કપાઈ ગયાનો મેસેજ આવ્યો હતો. જેથી બેન્કમાં જઈ તપાસ કરતા ઠગાઈની જાણ થઈ હતી. આ અંગે મહેન્દ્રસિંહે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SS1
