Western Times News

Gujarati News

થાણેમાં કોરો-બોટ કોવિડ-19ના દર્દીઓને ભોજન, પાણી અને દવાઓ આપવાનું કામ કરે છે

“હું ખાસ કરીને કોરોના દર્દીઓની સારવાર કરવા માટે અગ્ર હરોળમાં લડત આપી રહેલા આપણા વૉર્ડ બોય અને નર્સો માટે આ રોબોટ બનાવવા માંગતો હતો” પ્રતિક તીરોડકર

મુંબઈ, પણા સમાજમાં વૉર્ડ બોય, નર્સો અને અગ્ર હરોળમાં લડત આપી રહેલા કોરોના યોદ્ધાઓ સંભવતઃ કોરોના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં સૌથી વધુ વખત અને સૌથી લાંબા સમય સુધી આવે છે. આ યોદ્ધાઓને મદદરૂપ થવાના એક ઉમદા ઉદ્દેશ્ય સાથે થાણેના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર પ્રતિક તીરોડકર આગળ આવ્યા અને તેમણે એક એવો રોબોટ તૈયાર કરવાનો વિચાર રજૂ કર્યો જે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને વૉર્ડમાં ભોજન, પાણી અને દવાઓ આપવાનું કામ કરે અને નર્સો તેમજ અન્ય સંભાળ લેનારા લોકોએ આવા દર્દીઓના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની જરૂર પણ ના પડે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયાની દૂરંદેશી અને નવસર્જનના આહ્વાનથી પ્રેરણા લઇને પ્રતિકે “કોરો-બોટ” બનાવ્યો છે.

કોરો-બોટના કારણે નર્સો અને વૉર્ડ બોયને દર્દીઓ સાથે પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની જરૂરિયાત રહેતી નથી. તે દર્દીઓને ભોજન, પાણી અને દવાઓ આપવાનું કામ કરે છે. તે કેમેરાની મદદથી દર્દીઓ સાથે વાર્તાલાપ પણ કરી શકે છે. દર્દીઓ ટ્રેમાંથી તેમની વસ્તુઓ ઉપાડે તે પહેલાં ઓડિયો રીમાઇન્ડરની મદદથી તેમના હાથ સેનિટાઇઝ કરવાની ચેતવણી પણ આપવામાં આવે છે. આ રોબોટમાં ત્રણ ટ્રે છે અને તેમાં વિવિધ ચીજવસ્તુઓ મૂકી શકાય છે.

તેના ડિસ્પેન્સર્સમાં લગાવેલા સેન્સરની મદદથી સુનિશ્ચિત થઇ શકે છે કે, દર્દી જ્યારે ડિસ્પેન્સરની નીચે હાથ રાખે ત્યારે તેમાં રાખેલું પ્રવાહી અથવા સેનિટાઇઝર ઝડપથી નીકળે અને જ્યારે હાથ/ ગ્લાસ ડિસ્પેન્સિંગ એરિયાની નીચેથી હટાવવામાં આવે ત્યારે આપોઆપ તેનો પ્રવાહ કટ-ઑફ થઇ જાય. આની મદદથી આ વસ્તુઓ પહોંચાડવામાં સરળતા તો રહે જ છે, સાથે સાથે બગાડ પણ ઓછો કરી શકાય છે. આ રોબોટમાં LED લાઇટ્સની મદદથી પ્રકાશ સુવિધા લગાવવામાં આવી છે જેથી રાત્રીના સમયમાં પણ સરળતાથી તેનો ઉપયોગ સુનિશ્ચિત થઇ શકે છે. તેમાં ટોચના ભાગે એક નાનું PC જેવું સેટઅપ છે જેમાં કોમ્પ્યૂટર કામગીરી અને મનોરંજન બંને થાય છે.

કોરો-બોટ યુઝરને સેનિટાઇઝેશન આપવા ઉપરાંત, તે પોતાનું પણ સેનિટાઇઝેશન કરે છે જેથી તેની સપાટીઓના સ્પર્શથી વાયરસના ફેલાવાની શક્યતા દૂર કરી શકાય. તેમાં પાછળની બાજુએ 3 નોઝલ છે જે પોતાની પર જંતુનાશકોનો છંટકાવ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વધુમાં, તે જે માર્ગેથી ચાલે છે તેને UV લાઇટ્સનો ઉપયોગ કરીને સેનિટાઇઝ કરે છે. આ લાઇટ્સ પહેલા માર્ગને સેનિટાઇઝ કરે પછી રોબોટ ત્યાંથી આગળ વધે છે. તેમાં ત્રણ ટ્રે છે અને દરેકમાં 10-15 કિલો વજનનો જથ્થો મૂકી શકાય છે તેમજ નીચેના ભાગે 30 કિલોની ક્ષમતા છે. આથી આ રોબોટ એક વખતમાં સરળતાથી 10-15 લોકો માટેનો પૂરવઠો લઇ જઇ શકે છે.

પ્રતિકે PIB સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, “મૂળભૂતરૂપે કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા અગ્રહ હરોળના યોદ્ધાઓ એટલે કે આપણા વૉર્ડ બોય અને નર્સોને મદદ કરવા માટે આવો રોબોટ બનાવવાની મારી ઇચ્છા હતી. પરંતુ લૉકડાઉનના કારણે તેના માટે જરૂરી સામગ્રી લાવવામાં મુશ્કેલી પડી રહી હતી. આ સમય દરમિયાન, મને કલ્યાણ મતક્ષેત્રના સંસદસભ્ય શ્રી શ્રીકાંત શિંદેએ સમયસર મદદ કરી. લૉકડાઉનના કારણે સંખ્યાબંધ નિયમિત ભાગો ઉપલબ્ધ ન હોવાથી મેં મારા 3-4 કર્મચારીઓની ટીમ સાથે મળીને કેટલાક ભાગો જાતે બનવવાનું શરૂ કર્યું. જ્યારે અનલૉક 1.0માં અમને જરૂરી ભાગો મળશે ત્યારે અમે રોબોટના દેખાવમાં વધુ સુધારો લાવીશું.”

પ્રતિકે માહિતી આપી હતી કે, તેનું એકમ અઠવાડિયામાં 2-3 રોબોટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. જોકે, આ પ્રોટોટાઇપ માત્ર 15-20 દિવસમાં જ તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં કલ્યાણ ખાતે આવેલી હોલીક્રોસ હોસ્પિટલમાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે.

પ્રતિક અને તેમની ટીમે આ રોબોટનું સંચાલન કરવા માટે વિશેષ એપ્લિકેશન તૈયાર કરી છે જેથી હવે આ રોબોટને એપ્લિકેશનની મદદથી દૂરના સ્થળેથી પણ સંચાલિત કરી શકાય છે. આ પ્રક્રિયા માટે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT)નો ઉપયોગ કરવામાં આવશે. IoTનો ઉપયોગ હોમ એપ્લાયન્સિસના ઓટોમેશનમાં પણ થાય છે જે સામાન્ય રીતે સ્માર્ટહોમ તરીકે ઓળખાય છે. સમગ્ર ભારતમાં પ્રતિક જેવા યુવા ઉત્સાહિઓની મદદથી આત્મનિર્ભર ભારતના નિર્માણનું સપનું સાકાર કરવાનું હવે બહુ દૂર નથી. PNT સોલ્યૂશન્સના પ્રતિક તીરોડકરનો સંપર્ક 8097141179 નંબર પર થઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.