Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરી લુંટ કરે એ વ્યાજબી નથી

અમદાવાદ: બહુત હુઈ મહેગાઈ કી માર અબ કી બાર અચ્છે દિન” જેવા સુત્રોથી પ્રજાની લાગણી જીતીને સત્તા મેળવનાર મોદી સરકારનાં શાસનના ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ ડીઝલ પર મોટો ટેક્ષ વધારીને દેશના ૧૩૦ કરોડ અને ગુજરાતનાં ૬ કરોડ નાગરીકો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિમતમાં સતત ઘટાડો થતા દેશના નાગરોકો પાસેથી પેટ્રોલ ડીઝલનાં ઉચા ભાવ વસુલવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી.? ભાજપ-મોદી સરકારનાં પેટ્રોલ ડીઝલનાં લુંટતંત્રમાંથી પ્રજાને રાહત મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી તાલુકા સ્તર પર ધરણા પ્રદર્શન યોજાયા.

પેટ્રોલ – ડીઝલમાં ૧૮ દિવસમાં ૧૮ વખત ભાવ વધારો ઝીંકનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આજ દરેક ભારતીય કોરોના મહામારી સામે એકજૂથ થઈને લડી રહ્યો છે બીજીબાજુ લોકડાઉનના કારણે ધંધા-રોજગાર પડી ભાગ્યા છે. જનવિરોધી ભાજપ સરકાર રોજી-રોટી પૂરી પાડવા, રોજગાર આપવા અને આર્થીક સંકટ દુર કરવાને બદલે રાત દિવસ ભારતીયોની પરસેવાની કમાણી લુંટવામાં વ્યસ્ત છે.

વિશ્વ આખામાં જયારે કાચા તેલનો ભાવ સૌથી નીચા સ્તરે છે બીજીબાજુ કેન્દ્રની ભાજપ સરકાર નિર્દયતાથી સતત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરી નફાખોરી કરે તે કેટલે અંશે વ્યાજબી? કોરોનાના કપરા સમયમાં પણ દેશના નાગરીકોના ખિસ્સામાં રૂપિયા નાખવાનું તો દુર તેમના પાસેથી કેવી રીતે ખિસ્સા ખાલી કરવા તેની હંમેશા તત્પર ભાજપ સરકારે ૧૮ દિવસમાં ૧૮ વખત પેટ્રોલ-ડીઝલમાં આકારો ભાવ વધારો એ પોતાની જનવિરોધી નીતિઓનું સર્ટીફીકેટ છે. વર્ષ ૨૦૧૪ના મેં માં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ.૭૧.૪૧ હતો જે આજે ૭૯.૯૬ પ્રતિ લીટર થયો છે

પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્‌યુટી વર્ષ ૨૦૧૪ મેં મહિનામાં રૂ ૯.૨૦ પ્રતિ લીટર હતી જેમાં અધધ વધારા સાથે આજે રૂ. ૩૨.૯૮ પ્રતિ લીટર થયો છે બીજી બાજુ વર્ષ ૨૦૧૪ મેં માં ક્રૂડ તેલનો ભાવ ઇં ૧૦૬.૮૫ પ્રતિ બેરલ હતો જે આજે માત્ર ઇં ૩૮ પ્રતિ બેરલ છે. તેમ છતાં આનો લાભ જનતાને આપવાને બદલે દેશના ૧૩૦ કરોડ નાગરીકોને લુંટી ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે.

જનવિરોધી ભાજપ સરકારે ૪ માર્ચ ૨૦૨૦ થી પેટ્રોલ ડીઝલમાં ૩ રૂપિયા ટેક્ષ વધારી દીધો. ત્યારબાદ મેં મહિનામાં પેટ્રોલ-ડીઝલમાં ક્રમશ ૧૦ રૂપિયા અને ૧૩ જેટલો વધારો કરી માત્ર ૪૮ દિવસોમાં ભાજપ સરકારે ૧૬ રૂપિયા ડીઝલ પર અને ૧૩ રૂપિયા પેટ્રોલ પર વધારીને વાર્ષિક ૧,૬૦,૦૦૦ કરોડ નાગરીકો પાસેથી ઉઘાડી લુટ કેમ? તેનો જવાબ ભાજપ આપે. ગુજરાત રાજ્ય હોય કે દેશ ભાજપ સરકારની જનવિરોધી નીતિઓને કારણે લાખો યુવાનો બેરોજગારીનાં મારમાં પીસાઈ રહ્યો છે.

કેન્દ્રની ભાજપ સરકારએ વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૯-૨૦ સુધીનાં ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ-ડીઝલ પર ટેક્ષ વધારીને ૧૩૦ કરોડ ભારતીયો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે બીજી બાજુ પ્રતિ બેરલ ભાવ નીચો હોવા છતાં નાગરીકોને કેમ લાભ આપ્યો નહિ ? ભાજપ સરકારની અણઆવડત, સદંતર નિષ્ફળ વ્યવસ્થાતંત્રને પગલે શાકભાજી, સીગતેલ, કપાસિયા, પામોલીન તેલમાં આગ ઝરતી તેજીએ ગરીબો અને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં અસહ્ય વધારો કર્યો છે. “અચ્છે દિન”ની ગાણા ગાતા ભાજપા સત્તાધીશો, આગેવાનો, નેતાઓ જયારે દેશ અને ગુજરાતની જનતાને કોરોના મહામારીમાં સૌથી વધુ જરૂર હતી ત્યારે ભૂગર્ભમાં જતા રહ્યા હતા.

કરવેરા, ભાવવધારો કરી લોકોના ખિસ્સા ખંખરી પોતાની તિજોરી છલકાવતી ભાજપ સરકાર નાગરીકોને સહાય, સુરક્ષા સહિતના તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. આંતરરાષ્ટ્રીય કરન્સી એક્સચેન્જ દર મુજબ પાકિસ્તાનમાં “પેટ્રોલ”નાં ભાવ રૂ ૩૪.૪૪/લીની સરખામણીએ ભારતમાં રૂ ૭૯.૯૬ પ્રતિ લીટર શું કામે છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.