ખેડૂતો ૪૦ લાખ ટ્રેક્ટરથી સંસદને ઘેરશેઃ રાકેશ ટિકૈત
નવી દિલ્હી, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે, આ વખતે ખેડૂતો ૪૦ લાખ ટ્રેકટરથી સંસદનો ઘેરાવ કરશે. ટિકૈતે ખેડૂતોને દિલ્હી માર્ચ માટે તૈયાર રહેવા પણ જણાવ્યું છે. ટિકૈત રાજસ્થાનના સીકરમાં સંયુક્ત કિસાન મોરચાની કિસાન મહાપંચાયતને સંબોધન કરી રહ્યા હતા.
આ દરમિયાન તેમણે જણાવ્યું કે, જાે કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને પાછો નહીં ખેંચે તો આ વખતે સંસદને ઘેરી લેવા માટે આહ્વાન કરાશે અને ત્યાં ચાર લાખ નહીં પરંતુ ૪૦ લાખ ટ્રેક્ટર જશે. તેમણે ખેડૂતોને તૈયાર રહેવા કહ્યું કારણ કે ગમે ત્યારે દિલ્હીની જવા માટે આહ્વાન થઈ શકે છે. તેમણે કહ્યું, દિલ્હી કાન ખોલીને સાંભળે, ખેડૂતો પણ એ જ છે અને ટ્રેક્ટરો પણ એ જ છે.
આ વખતે આહ્વાન સંસદ માટે હશે. આ વખતે ચાર લાખ નહીં પણ ૪૦ લાખ ટ્રેકટરો જશે. ટિકૈતે કહ્યું કે ખેડૂત ઈન્ડિયા ગેટ પાસેના પાર્કમાં ખેતી કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સંસદની ઘેરવા માટે સંયુક્ત કિસાન મોરચા દ્વારા તારીખ નક્કી કરવામાં આવશે.
૨૬ જાન્યુઆરીની ઘટના અંગે ટિકૈતે કહ્યું, ૨૬ જાન્યુઆરીએ બનેલી ઘટના મામલે દેશના ખેડુતોને બદનામ કરવાનું કાવતરું રચાયું હતું. દેશના ખેડૂતોને તિરંગાથી પ્રેમ છે પરંત આ દેશના નેતાઓને નથી. ટિકૈતે કહ્યું કે, સરકારને ખેડૂતોનો ખુલ્લો પડકાર છે.. જાે સરકાર ત્રણ કૃષિ કાયદાને પાછો ખેંચશે નહીં અને એમએસપી લાગુ નહીં કરે તો દેશના ખેડુતો મોટી કંપનીઓના ગોડાઉન તોડી પાડવાનું કામ પણ કરશે.
આ માટે સંયુક્ત મોરચો ટૂંક સમયમાં તારીખ આપશે. મહાપંચાયતને સ્વરાજ આંદોલનના નેતા યોગેન્દ્ર યાદવ, અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચૌધરી યુદ્ધવીરસિંહ, કિસાન સંઘના રાષ્ટ્રીય મહામંત્રી, અને ઘણા ખેડૂત આગેવાનોએ પણ સંબોધન કર્યું હતું.