જીવનની જીજીવિષા અને મક્કમ મનોબળ રાખી ૮૦ વર્ષ વટાવી ચુકેલા દંપતીએ કોરોનાને હંફાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/80-years-couple.jpeg)
જી.કે.જનરલ હોસ્પિટલની સઘન સારવાર અને તબીબોના લાગણીશીલ વર્તન થકી વયોવ્રુદ્ધ દંપતી હેમખેમ ઘરે પાછા ફર્યા
૮૬ વર્ષીય બાંભણિયા શંભુભાઈ અને તેમના પત્ની ૮૪ વર્ષીય બાંભણીયા વાલીબેન કોરોના ની જપેટમાં આવી ગયા
જીવન જીવવાની જીજીવિષા,દ્રઢ મનોબળ અને થોડો લાગણી નો સહારો મળી રહે ને, તો વ્યક્તિને કોઈ પણ ઉંમરે મોત સામે જીતતા રોકી શકાય નહીં તેવું સાર્થક કરી બતાવ્યું છે ૮૦ વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ કે જેઓ જી.કે.જનરલ હોસ્પિટલમાં થી કોરોના ની સારવાર લઇ ઘેર પાછા ફર્યા છે.
૮૬ વર્ષીય બાંભણિયા શંભુભાઈ અને તેમના પત્ની ૮૪ વર્ષીય બાંભણીયા વાલીબેન કોરોના ની જપેટમાં આવી ગયા અને થોડા જ સમયમાં તેમની હાલત જ થોડી સિરિયસ થતા ભુજ ખાતેની જી.કે.જનરલ હોસ્પિટલમાં તેમને એડમીટ કરવામાં આવ્યા જ્યાં તેમની ૧૫ દિવસની સઘન સારવાર, નર્સ અને તબીબી સ્ટાફ ના લાગણીશીલ વર્તન તેમજ તેમની સારસંભાળ ના કારણે આ દંપતી સ્વસ્થ થઈ પોતાના ઘરે પાછા ફર્યા
ઘરે પાછા આવી પોતાનો અનુભવ વર્ણવતાં તેઓ જણાવે છે કે ત્યાંના ડોક્ટર્સની સારવાર બહુ જ સારી છે તેમનો સ્ટાફ પણ એટલો જ લાગણીશીલ અને સારસંભાળ રાખનારો છે. અમારી સારવાર હોસ્પિટલના નર્સ વંદનાબેન અને નિધીબેન કરતા હતા. તેમણે ખૂબ જ સારી રીતે અમારું ધ્યાન રાખ્યું
જ્યારે અમારા પરિવારનું કોઈ અમારી પાસે નહોતું ત્યારે તેમણે જ એક દીકરીની જેમ અમારી સેવા કરી છે. વધુમાં તેઓ જણાવે છે કે ત્યાં દર્દીઓની ખૂબ જ સાર-સંભાળ રાખવામાં આવે છે સવારે ચા-નાસ્તો,દૂધ અને પાણીની બોટલ તો બપોરે જમવામાં દાળ-ભાત શાક અને રોટલી આપવામાં આવે છે રાત્રે ખીચડી,દૂધ વગેરે પૌષ્ટિક આહાર આહાર આપવામાં આવે.અને એક વસ્તુ તો અમે નજરે જોઈ છે કે જે પેશન્ટની હાલત ચાલવા જેવી ન હોય તેમને હાથનો સહારો દઈને નર્સ અને અન્ય સ્ટાફ બાથરૂમ લઈ જતા. આમ તેઓ એક પરિવારના સભ્યની જેમ જ દર્દીઓની સારસંભાળ રાખે છે અને બસ એ સારસંભાળ થકી જ અમે આજે સંપુર્ણ સ્વસ્થ થઇ ઘેર પાછા ફર્યા છીએ.