જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે 52 કરોડ મંજૂર કરાયા
રાજ્યના પ્રવાસન-યાત્રાધામોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના હેતુસર પાલીતાણા માટે કુલ રૂ. ૯૨.૦૭ કરોડ મંજૂર થયા
પાલીતાણા તીર્થમાં આવતા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને વધુ સુલભ અને સલામત રોડ નેટવર્ક મળશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણા ને જોડતા ૮૦૦ મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે રૂ. ૫૧.૫૭ કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં રાજ્યના ૪૪ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ રૂ. ૨૨૬૯ કરોડ ફાળવ્યા છે. 52 crores approved for construction and development of roads connecting Jain pilgrimage site Palitana
આ હેતુસર જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને તે રકમમાંથી ૪૦.૫૦ કરોડ રૂપિયા ૨૪.૯૦ કિ.મી લંબાઈના ૬ રસ્તા અને પૂલોના કામો માટે મંજૂર કરવામાં આવેલા છે. હવે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૫૧.૫૭ કરોડ રૂપિયા પાલીતાણાને જોડતા ૮૦૦ મીટરના માર્ગો પર નવા રસ્તા, પુલો માટે મંજૂર કર્યા છે.
જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને સુદ્રઢ અને સુવિધાયુક્ત રોડ કનેક્ટિવિટી પૂરી પાડવા મુખ્યમંત્રીશ્રીએ સમગ્રતયા ૨૫.૭૦ કિ.મી. માર્ગો માટે કુલ રૂ. ૯૨.૦૭ કરોડ અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી પાલિતાણા જૈન તીર્થમાં આવતા પદયાત્રીઓ તથા વાહનથી જતા દર્શનાર્થીઓને ઘણી સલામતી તથા સુલભતા પ્રાપ્ત થશે. એટલું જ નહિ, આ રસ્તાઓના નિર્માણ તેમજ વિકાસથી યાત્રાધામનું અંતર ઘટશે અને પાલીતાણા શહેરમાં જવાના રસ્તા માં આવેલા પાલીતાણા-તળાજા રસ્તાના જંકશન પોઇન્ટ પર વારંવાર થતી ટ્રાફીક જામની સમસ્યાનું નિવારણ થશે.
આ રસ્તાઓના નિર્માણ તેમજ વિકાસથી સ્થાનિક રહેવાસીઓ અને વ્યાપારીઓને પણ લાભ થશે તથા પાલીતાણા તીર્થ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને વધુ વેગ મળશે.