ધનસુરા નજીક ગેસ ગળતરથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ

(એજન્સી) ધનસુરા, અરવલ્લીમાં ધનસુરા નજીક એક કોલ્ડ સ્ટોરેજમાં મોડી રાત્રે એમોનિયા ગેસ લીકેજ (ગેસ ગળતર) થવાથી નાસભાગ મચી ગઈ હતી. જેમાં શ્રી રાધે, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સતત ગેસ લીકેજને કારણે નજીકના ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને લોકો તેમના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
માહિતી મુજબ, ધનસુરા-બાયડ હાઇવે પર એક કોલ્ડ સ્ટોરેજ છે અને ત્યાં અચાનક ગેસ લીકેજ થયો છે. જેના કારણે સ્થાનિક લોકો પણ ગભરાઈ ગયા છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા ગ્રામજનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ફાયર વિભાગે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે, પોલીસે પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ફાયર વિભાગે હાલમાં ગેસ વાલ્વ બંધ કરી દીધો છે.
ભરૂચના દહેજમાં ગેસ ગળતરની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નીપજતા શોકનું મોજુ ફરી વળ્યું હતું. જેમાં દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગળતર થતાં ચાર કામદારોના મોત થયાં છે. કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ઘટના બની હતી. પાલનપુરના માલણ દરવાજા પાસેના વિસ્તારમાં ગેસ ગળતરના કારણે લોકોને ઉલ્ટી થવા લાગી હતી. તીવ્ર દુર્ગંધના કારણે લોકોની તબિયત લથડવા લાગી હતી અને લોકોને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એક પછી એક ૭૪ થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા અરાજકતા ફેલાઈ ગઈ હતી. તબીબોએ ઉતાવળમાં જેમને જરૂર હતી તેમને ઓક્સિજન આપીને સારવાર શરૂ કરી હતી. એવું માનવામાં આવે છે કે ગેસ કટરમાં વપરાતા એસીટીલીન ગેસના લીકેજ ને કારણે આ ઘટના બની હતી. પોલીસે આ વિસ્તારમાં ભંગાર ગોડાઉનમાં તપાસ કરી હતી. રાજકોટના ખોડિયાર નગરમાંથી ગેસ ગળતરની ઘટના સામે આવી હતી.
જેના કારણે ત્યાં રહેતા લોકોને તેને અસર થતા શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. લગભગ ૧૦ જેટલા લોકોને તેની અસર થઇ હતી ત્યારબાદ તાત્કાલિક તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રહેણાક વિસ્તારમાં કારખાનાના સામે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. રહેણાંક વિસ્તારમાં જ કારખાના હોવાથી વારંવાર આ તકલીફ પડતી હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ ગંભીર હતી.
તેથી આ તમામને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં આસપાસ કેટલાક લોકોના ઘર પણ આવેલા છે અને અહિયાં જ કારખાના પણ છે જેના કારણે અનેક લોકોને ઝેરી ગેસની અસર થઇ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ત્યાના લોકોએ કારખાના સામે મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે લોકોએ થોરાળા પોલીસને રજૂઆત કરી હતી.