ઉત્તરપ્રદેશ સરકારે આઠ વર્ષમાં ૨૩૦ ખૂંખાર ગુનેગારોનો ખાત્મો બોલાવ્યો

આતંકવાદીઓના સ્લીપર સેલને સંપૂર્ણ નષ્ટ કરાયાઃ યુપી સરકારનો દાવો
એટીએસ એ અયોધ્યામાં રામમંદિરના નિર્માણની આસપાસ વિનાશકારી ઘટનાઓ માટે ષડયંત્ર રચનાર સહિત ધાર્મિક અશાંતિ ભડકાવનાર તત્વો પર સકંજો કસ્યો છે
લખનઉ,
ઉત્તરપ્રદેશ સરકારે સંગઠિત ગુનાઓના નેટવર્કને ખતમ કરી દીધું છે. છેલ્લા આઠ વર્ષમાં ૨૩૦ ખૂંખાર ગુનેગારોના પ્રભાવને ખતમ કરી નાંખવામાં આવ્યો છે અને આતંકવાદી સ્લીપર સેલને રાજયભરમાંથી નાબૂદ કરાયા છે, તેમ સોમવારે યુપી સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. સરકારે શૂન્ય-સહિષ્ણુતા દૃષ્ટિકોણ અપનાવ્યો, બહુઆયામી રણનીતિની સાથે આતંકવાદી નેટવર્ક, તેના ફંડિંગ, ધાર્મિક ઉગ્રવાદ, બોગસ દસ્તાવેજો અને વિદેશ ઘુસણખોરીને ટાર્ગેટ કરી છે. ઉત્તરપ્રદેશ સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે ૨૦૧૭થી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં – રાજ્ય આતંકવાદીઓ માટે દુર્ગમ થઈ ગયું છે. જેમાં ૨૩૦ ખૂંખાર ગુનેગારોનો પ્રભાવ ખતમ કરવામાં આવ્યો છે. આતંકવાદીઓના ૧૪૨ સ્લીપર સેલને નષ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૧૩૧ સક્રિય મોડ્યુલ સામેલ છે જે આતંકવાદી ગતિવિધિમાં સામેલ ગુનેગારોને આશ્રય આપતા હતા અને ગુપ્ત માહિતી લીક કરતા હતા.
તેમજ ૧૧ ફન્ડિંગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં એક આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. ઉત્તરપ્રદેશ એટીએસના આઠ વર્ષના અભિયાનમાં આઈએસઆઈએસ, એક્યુઆઈએસ, જેએમબી, એબીટી, લશ્કર, જૈશ, એચએમ, આઈએમ-સિમી, નક્સલી, પીએફઆઈ અને આઈએસઆઈ સહિત વૈશ્વિક તથા સ્થાનિક આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા સ્લીપર મોડ્યુલને સફળતાપૂર્વક પ્રભાવહિન કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન, એટીએસ એ ધર્માંતરણ પ્રવૃતિના ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યાે છે. એટીએસ એ અયોધ્યામાં રામમંદિરના નિર્માણની આસપાસ વિનાશકારી ઘટનાઓ માટે ષડયંત્ર રચનાર સહિત ધાર્મિક અશાંતિ ભડકાવનાર તત્વો પર સકંજો કસ્યો છે.SS1