અમદાવાદની ૧૮ વર્ષીય યુવતિનું કોરોનાથી મોતઃ કુલ બે મૃત્યુ નોંધાયા

સોમવારે નવા પ૦ કેસ કન્ફર્મ થયા
(પ્રતિનિધિ) અમદાવાદ, દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો વ્યાપ સતત વધી રહયો છે. દેશના અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે નાગરિકોમાં દહેશત ફેલાઈ ગઈ છે.
શહેરમાં ત્રણ દિવસ અગાઉ એક ૪૬ વર્ષીય મહિલાનું મૃત્યુ થયા બાદ બીજી જુને એક ૧૮ વર્ષીય યુવતિનું પણ કોરોનાના કારણે મૃત્યુ થયું છે. બંને દર્દી એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તે દરમિયાન તેમના અવસાન થયા છે. દુઃખદ બાબત એ છે કે જે યુવતિનું મરણ થયું છે તે ગર્ભવતી પણ હોવાની વિગતો બહાર આવી છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહયા છે જુન મહીનાના પ્રથમ બે દિવસમાં કોરોનાના નવા પ૦ કેસ કન્ફર્મ થયા છે. જેની સામે ૧૬ દર્દી સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે પરંતુ સોમવારે વિંઝોલ વિસ્તારની રહીશ એક ૧૮ વર્ષીય યુવતિનું કોરોનાની સારવાર દરમિયાન એલ.જી.હોસ્પિટલમાં મરણ થયું છે. આમ શહેરમાં કોરોનાના કારણે બે મરણ થયા છે.
બંને મૃતક મહિલા દર્દી જ હતાં. સોમવારે જે યુવતિનું મરણ થયું છે તેને હદયની બીમારી હતી તેમજ તેણી ગર્ભવતી પણ હોવાની વિગતો બહાર આવી છે. શહેરમાં અત્યાર સુધી કોરોનાના કુલ ર૭૦ કેસ નોંધાયા છે જે પૈકી ૭ર દર્દી સાજા થઈ ગયા છે જયારે ૧૯૭ એક્ટિવ કેસ છે જે જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહયા છે.
શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં છે જયારે ઓછા એક્ટિવ કેસ ઉત્તર અને મધ્ય ઝોનમાં નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા ૪ દિવસમાં કોરોનાના ર દર્દીના મરણ થતાં મ્યુનિ. આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થયા છે તેમજ કેસનો વ્યાપ ન વધે તે માટે તકેદારીના તમામ પગલાં લઈ રહયા છે.
પરંતુ સરકાર તરફથી હજી સુધી કોઈ જ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી ન હોવાથી સ્થાનિક કક્ષાએ વધુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એસવીપી, શારદાબેન, એલ.જી. સહિતની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે.