Western Times News

Gujarati News

માફી નહીં માગુ, કર્ણાટકમાં ફિલ્મ રિલીઝ નહીં કરું : કમલ હસન

કોર્ટે કમલ હસનના ઇનકાર પર નિઃરાશા વ્યક્ત કરી

કમલ હસને મંગળવારે બેંગ્લોરની કર્ણાટકા હાઇ કોર્ટમાં કહ્યું કે તેઓ પોતાની આવનારી ફિલ્મ ‘ઠગ લાઇફ’ હાલ પુરતી કર્ણાટકમાં રિલીઝ કરશે નહીં

મુંબઈ,કમલ હસને મંગળવારે બેંગ્લોરની કર્ણાટકા હાઇ કોર્ટમાં કહ્યું કે તેઓ પોતાની આવનારી ફિલ્મ ‘ઠગ લાઇફ’ હાલ પુરતી કર્ણાટકમાં રિલીઝ કરશે નહીં. ખરેખર તો તેમણે થોડાં દિવસો પહેલાં કન્નડા ભાષા અંગે એક નિવેદન આપ્યું હતું. તેના કારણે એક નવો વિવાદ શરૂ થયો છે. તેમના આ નિવેદનને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેમાં કમલ હસને કોર્ટ સમક્ષ માફી માગવાથી પણ ઇનકાર કરી દીધો છે.કમલ હસને કહ્યું હતું, “કન્નડા ભાષાનો જન્મ તમિલ ભાષામાંથી થયો હતો” હાઇકોર્ટે પણ તેમના આ નિવેદનને સખત રીતે વખોડી કાઢ્યું હતું અને નોંધ્યું હતું કે તે ભલે એક મોટા સ્ટાર હોય પરંતુ તેમને કર્ણાટકના લોકોની લાગણીઓને દુભાવવાનો કોઈ અધિકાર નથી. કોર્ટને જણાયું હતું કે માત્ર એક સાદી માફી આ મુદ્દાને હળવો કરી શકે છે.

કમલ હસનના વકીલ ધ્યાન ચિનપ્પાએ જસ્ટીસ એમ.નાગપ્રસન્નાની બેંચને જાણ કરી હતી કે જ્યાં સુધી તેમના અસીલ કમલ હસન અને તેમની પ્રોડક્શન કંપની રાજકમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ કર્ણાટકા ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ સાથે વાતચીત ન કરે ત્યાં સુધી તેઓ કર્ણાટકમાં તેમની ફિલમની રિલીઝ મુલતવી રાખશે, તેથી ફિલ્મના સ્ક્રીનિંગ પર રાજ્યમાં પ્રતિબંધ મુકીને તેમની માફીની માગણી કરવામાં આવી હતી.આ મુદ્દે વકીલ ચિનપ્પાની દલીલ હતી કે તેમણે કમલ હસન દ્વારા લેખિતમાં અપાયેલું નિવેદન કેએફસીસી સમક્ષ રજૂ કર્યું હતું, જેમાં તેમણે કન્નડા ભાષા અને તેનાં લોકો પ્રત્યે પોતાના પ્રેમ અને સન્માનની વાત કરી હતી, જે આ વિવાદ માટે તેમનો યોગ્ય પ્રતિસાદ હતો. હવે આ મુદ્દે કમલ હસનને કોઈ ચોક્કસ રીતે માફી માગવાની ફરજ પાડી શકાય નહીં.

ચિનપ્પાએ કહ્યું, “જો તમારો દુર્ભાવ હોય તો તમારે માફી માગવાની જરૂર પડે, જેવું આ કેસમાં નથી.” તેમણે એમ પણ કહ્યું હતું કે ચેન્નઈમાં ‘ઠગ લાઈફ’ના મ્યુઝિક લોંચ વખતે ૨૪મેના દિવસે કમલ હસન દ્વારા કરાયેલાં આ વિવાદીત નિવેદનમાં કન્નડાને નીચી બતાવવાનો કે તેને બોલતાં લોકોને નીચા બતાવવાનો કોઈ ભાવ નહોતો અને આ વાત સારા ભાવથી અને શુભચિંતક ભાવથી જ કહેવાઈ હતી.આગળ વકીલે જણાવ્યું કે તેમણે ભાષા અને રાજ્ય પ્રત્યે લગાવ અને માન સિવાય કશું જ વ્યક્ત કર્યું નથી.જોકે, વકીલની દલીલોથી કોર્ટને અસંતોષ થયો હતો અને જસ્ટિસ નાગપ્રસન્નાએ શેક્સ્પીઅરનું એક જાણીતું વાક્ય ટાંકીને કહ્યું હતું, “વિવેક એ બહાદુરીનો જ એક સારો ભાગ છે”, આમ તેમણે કમલ હસનને માનવતા દાખવવા સૂચન કર્યું હતું.

જજે કહ્યું, “તમે કોઈ સામાન્ય માણસ નથી. તમે એક જાણીતી વ્યક્તિ છો. તમે પરિસ્થિતિઓનું નિર્માણ કરો છો, તમે અજંપાભરી પરિસ્થિતિ બનાવો છો અને પછી હવે તેમને રાજ્યના વહીવટીતંત્ર તરફથી સુરક્ષા જોઈએ છે. એક સાદી માફીથી આ સમગ્ર સ્થિતિનું નિરાકરણ આવી ગયું હોત.”જજ દ્વારા કમલ હસનના નિવેદનનો વીડિયો જોવામાં આવ્યો હતો અને તેમણે પૂછ્યું હતું કે જ્યારે તો જાણે છે કે તેમના નિવેદનથી સામાન્ય જનતાને હીનતા અનુભવાઈ છે,તમારા કારણે સમગ્ર રાજ્યના લોકોની લાગણી દુભાઈ છે, તો તેમને એક માફી માગવામાં આટલો ખચકાટ કેમ થાય છે. “તમે કમલ હસન હોય કે કોઈ પણ, તમે જનતાની લાગણી દુભાવી શકો નહીં. એક દેશ જ્યાં ભાષા લાગણીશીલ મુદ્દો છે, ત્યાં એક જાણીતી વ્યક્તિ તરીકે તમે આવા ગમે તેવા નિવેદનો ન કરી શકો. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.