Western Times News

Gujarati News

સુરતના સાયબર ફ્રોડમાં નવો ઘટસ્ફોટ : માત્ર ૬ મહિનામાં ૧૪૪૫ કરોડનાં ટ્રાન્ઝેક્શન પકડાયા

RBL બેંકના ૮૯ ખાતામાંથી માત્ર ૬ માસમાં સાયબર ફ્રોડના ૧,૪૪૫ કરોડનાં ટ્રાન્ઝેક્શન વિદેશમાં થયા હતા

સુરત, સુરતમાં ગત ૨૭ મેના રોજ ઉધના પોલીસે વાહન ચેકિંગમાં બે શખ્સોને પકડી ઓનલાઇન ચીટીંગનું ઇન્ટરનેશનલ રેકેટ ઝડપ્યું હતું. આ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન ૧૬૪ બેંક ખાતા મળ્યાં છે. આ એકાઉન્ટમાંથી RBL બેંકમાં ખોલેલા ૮૯ બેંક એકાઉન્ટમાંથી માત્ર છ મહિનામાં કુલ ૧,૪૪૫ કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં છે. હજુ ૭૫ બેંક એકાઉન્ટનું વેરિફિકેશન કરવાનું બાકી છે. આ આંકડો વધી શકે છે.

તમામ બેંક એકાઉન્ટ સુરત શહેરમાં ખોલવામાં આવ્યા હતા. આ બેંક એકાઉન્ટની વિગતોમાં સિંગાપોર, મલેશિયા, ક્યુબા અને થાઈલેન્ડના ફોન નંબરો આપવામાં આવ્યા હતા.ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં આ ગુનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન તેમની ધરપકડ કરાઈ હતી. આરોપી કિરાત જાદવાણી અને મિત ખોખરની ધરપકડ કરાઈ હતી.

ત્યાર બાદ અન્ય એક વ્યક્તિની ઘરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ અન્ય લોકો પાસેથી તમામ વિગતો મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. દર એકાઉન્ટ દીઠ તેમને અલગ અલગ લિમિટ આધારે એક લાખ રૂપિયાથી લઈને સાત લાખ સુધીનું કમિશન મળતું હતું.આરોપીઓ આ એકાઉન્ટની તમામ વિગત વિદેશમાં બેસીને રેકેટ ચલાવતા તેમના મોટા સૂત્રધારોને આપતા હતા. આ રેકેટમાં સામેલ ટોપના લોકો આ બેંક એકાઉન્ટની વિગતો મેળવીને સાયબર ફ્રોડની જે પણ રકમ હોય તેને ટ્રાન્જેક્શન માટે વાપરતા હતા. અત્યારે ઉધના પોલીસે ૧૬૪ બેંક એકાઉન્ટ જપ્ત કર્યા છે.

આ તમામ એકાઉન્ટની વિગતો અલગ અલગ બેંકો પાસેથી મંગાવવામાં આવી છે, જેમાંથી RBL બેંકના ૮૯ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, તેમાંથી ૧,૪૫૫ કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. હજી અન્ય બેંકની માહિતી બાકી છે. ઉધના પોલીસે અન્ય બેંક પાસેથી પણ તમામ બેંક એકાઉન્ટની વિગતો મંગાવી છે. સ્ટેટમેન્ટ આવ્યા પછી પોલીસ વધુ એનાલિસિસ કરશે અને અન્ય બેંક એકાઉન્ટમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે તેની વિગતો મેળવશે. પોલીસને અનુમાન છે કે આંકડો હજુ વધી શકે છે. તમામ બેંક એકાઉન્ટ સુરતમાંથી ખોલાયા હતા. આ સાયબર ફ્રોડની ઘટનામાં જેટલા પણ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે તે તમામ સુરતમાંથી જ ખોલવામાં આવ્યા છે. RBL, યસ બેંક, એક્સિસ બેંક સાથે એસબીઆઇ બેંકના પણ એકાઉન્ટ સામેલ છે.

જે વ્યક્તિને જરૂરિયાત હોય, સાથે એવી ફર્મ જે પોતાની રીતે સારું પર્ફાેર્મન્સમાં નથી આવી ફર્મના માલિક પાસેથી વિગતો મેળવીને આ લોકો એકાઉન્ટ ખોલતા હતા. જે લોકો પાસે ફર્મ ન હોય તેમની પાસેથી જીએસટી નંબર મેળવીને બેંક એકાઉન્ટ ખોલતા હતા. તમામ કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. એકાઉન્ટ જયારે ખુલી જાય ત્યારે એકાઉન્ટ હોલ્ડરને આ લોકો ફિક્સ રકમ આપી દેતા હતા.

જે એકાઉન્ટની સાઈઝ હોય તે પ્રમાણે તે રકમ આપી દેતા અને ત્યારબાદ જ્યારે આ એકાઉન્ટનો સાયબર ફ્રોડના ટ્રાન્જેક્શન માટે ઉપયોગ થાય તેમને બે ટકા કમિશન પણ અલગથી આપતા હતા. અત્યારે અમને જે ઇન્ફોર્મેશન મળી છે, ચારથી પાંચ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં કમિશન પેટે આપ્યા છે. અન્ય બેંકથી જે વિગતો આવશે ત્યારે અમે કહી શકીશું કે કેટલા ઓરિજનલ ટ્રાન્જેક્શન આ લોકોએ કર્યા છે. તેમાંથી આ લોકોને કેટલું કમિશન આપવામાં આવ્યું છે, તે તપાસનો વિષય છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.