અમદાવાદ પોલીસ રથયાત્રા પહેલાં એક્શનમાં: જગન્નાથ મંદિરથી પોલીસે યોજી બુલેટ માર્ચ

અમદાવાદ, આગામી ૨૭ જૂને ભગવાન જગન્નાથની આગામી ૧૪૮મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ પોલીસે સોમવારે રાત્રે નિર્ધારિત શોભાયાત્રા માર્ગ પર ‘બુલેટ માર્ચ’ યોજીને સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સોમવારે (૯ જૂન)ના રોજ રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યે યોજાયેલી ‘બુલેટ માર્ચ’ દરમિયાન અંદાજે ૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ બુલેટ મોટરસાયકલ પર રથયાત્રાના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
બુલેટ માર્ચને જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી મહંત લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જગન્નાથ મંદિરેથી રથયાત્રાના રૂટ જમાલપુર, ખાડિયા, પાંચકુવા, કાલુપુર, સરસપુર, પ્રેમદરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર, માણેકચોક થઈને મંદિર સુધી બુલેટ માર્ચ યોજાઇ હતી. આ માર્ચમાં પીઆઇ. પીએસઆઇ સહિત ૧૦૦ જેટલા પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો.
વરિષ્ઠ અધિકારીઓએ બુલેટ માર્ચ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે બુલેટ માર્ચનો બેવડો હેતું છે. બુલેટ માર્ચ દ્વારા જનતામાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવો અને કર્મચારીઓને યાત્રા માર્ગ પરના સંવેદનશીલ વિસ્તારોથી પરિચિત કરાવવા. રથયાત્રાના સુચારુ આયોજન માટે તે પૂર્વે રૂટ પરના સંવેદનશીલ પોઇન્ટ ચેક કરવામાં આવ્યા હતા. રૂટ પરના જે પોઇન્ટ પર સુધારા વધારાની જરૂર જણાઇ ત્યાં કરવામાં આવશે.
૧૪૮મી રથયાત્રામાં લાખો ભક્તો ઉમટી પડવાની આશા છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે છૈં-આધારિત સર્વેલન્સ, ટ્રાફિક ડાયવર્ઝન, ડ્રોન મોનિટરિંગ અને એન્ટી-સેબોટેજ તપાસ સહિતની મલ્ટી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર ડ્રોનની મદદથી એઆઇ સજ્જ કેમેરા દ્વારા સર્વલન્સ કરીને વિવિધ માહિતી મેળવવામાં આવશે.
જેમાં ચોક્કસ જગ્યા પર કેટલા લોકોની ભીડ છે. તે વિગતો ગણતરીના સેકન્ડમાં મળી જશે. રૂટ પર કોઇ શંકાસ્પદ રીતે દોડતી વ્યક્તિ પર પણ નજર રાખી શકાશે. આગામી દિવસોમાં શાંતિપૂર્ણ અને ઘટનામુક્ત કાર્યક્રમ સુનિશ્ચિત કરવા માટે નાગરિક એજન્સીઓ અને મંદિર વ્યવસ્થાપન સાથે વધુ કવાયત અને સંકલન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.