400 કરોડના ખર્ચે GSRTC દિવાળી સુધીમાં ૧૦૦ પ્રિમીયમ સહિત ૧૨૦૦ બસ ખરીદશે

File Photo
એસટી નિગમ કિલો મીટર પુરા થઈ ગયા હોય એવી જુની બસો સેવામાંથી રદ કરાશે
અમદાવાદ, રાજ્યમાં એસટી બસોમાં પ્રવાસીઓની સંખ્યા રોજબરોજ વધી રહી છે. તેમજ કેટલીક એસટી બસોના કિલોમીટર પુરા થતાં જર્જરિત બસો સેવામાંથી પરત ખેંચવામાં આવી રહી છે. ત્યારે એસ.ટી. નિગમ દ્વારા રૂપિયા ૪૦૦ કરોડના ખર્ચે નવી અને આધુનિક બસો ખરીદવાનો નિર્ણય લેવાયો છે. આગામી ચાર મહિનામાં એટલે કે દિવાળી સુધીમાં ૧૨૦૦ નવી બસો ખરીદવામાં આવશે.
રાજ્યના વાહનવ્યવહાર વિભાગના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત એસટી નિગમ દ્વારા આગામી ચાર માસમાં ૧૨૦૦ નવી બસ ખરીદશે. આ ૧૨૦૦ બસ પૈકી ૧૦૦ બસ પ્રિમિયમ કેટેગરીની હશે.. આ બસોની ખરીદી માટે વાહનવ્યવહાર વિભાગ રૂ.૪૦૦ કરોડ ખર્ચશે.
આધુનિક સુવિધાઓ ધરાવતી આ બસોની ખરીદીથી પ્રવાસીઓને વધુ લાભ મળશે. છેલ્લા ૧૪ માસમાં વાહનવ્યવહાર વિભાગે ૨,૯૮૭ નવીન બસો પ્રજાની સેવામાં કાર્યરત કરી છે અને હજુ વધુ આધુનિક સુવિધા ધરાવતી નવીન બસો ખરીદવા ક્વાયત હાથ ધરી છે.
પ્રવાસીઓને આધુનિક સગવડવાળી બસ ઉપલબ્ધ કરાવવા સરકાર દર મહિને ૨૦૦ નવી બસ એટલે કે દરરોજ છ નવી બસ રોડ પર મુકે છે. મહત્વનું છે કે જાહેર પરિવહન ક્ષેત્રે આધુનિક સુવિધાવાળી બસો મળતી થતાં એસટી નો લાભ લેનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. અગાઉ દૈનિક ૨૫ લાખ મુસાફરો ય્જીઇ્ઝ્રની બસોનો લાભ લેતા હતા પણ બસો આધુનિક અને સુવિધાજનક બનતા તે સંખ્યા વધીને હવે દૈનિક ૨૭ લાખ પર પહોંચી છે.